Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રચાયેલી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની આજે બીજી કેબિનેટ બેઠક મળી હતી. બીજી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે દર અઠવાડિયાના સોમવાર અને મંગળવારે અધિકારીઓ અને મંત્રીઓએ ફરજિયાત સચિવાલયમાં હાજરી આપવી પડશે. આ ઉપરાંત દૂધાળા પશુના મૃત્યુ બદલ જે સહાય અત્યાર સુધી 30 હજાર રૂપિયા અપાતી હતી તે વધારીને રૂપિયા 50 હજાર કરી દેવામાં આવી છે. ઘેટા અને બકરીના મોત થશે તો 3 હજાર રૂપિયાને બદલે હવેથી 5 હજાર રૂપિયા સહાય મળશે.

આ અંગે રાજ્ય સરકારના નવા પ્રવક્તા એવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કાયદામંત્રી ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જ્યારે કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800 રૂપિયાના બદલે 7 હજાર રૂપિયા અને ઝૂંપડાવાસીઓને 4100 રૂપિયાને બદલે 10 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. પાકા મકાનોને નુકસાનની સહાયમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં પ્રજા માટે સુવિધાલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના દૂરના અંતરિયાળ ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસ દરમિયાન કોઈ બેઠકો, મિટીંગ કે અન્ય કાર્યક્રમો નહીં યોજવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મિંટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે. ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત