Homeગુર્જર નગરીનવરાત્રિના આયોજન અંગેનો માર્ગ થયો મોકળો, સરકારના આ નવા નિયમો બાદ મળી...

નવરાત્રિના આયોજન અંગેનો માર્ગ થયો મોકળો, સરકારના આ નવા નિયમો બાદ મળી શકે છે મંજૂરી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાના કેસ નહીંવત થઈ જતાં હવે રાજ્ય સરકારે ગાઈડલાઈનમાં કેટલીક છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્યમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નહતું પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે નવરાત્રિમાં રાસ-ગરબાના આયોજનને મંજૂરી આપવાની તૈયારી કરી દીધી છે. ગઈકાલે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજા અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે તેવી છૂટ આપી છે. આ કાર્યક્રમો 400 વ્યક્તિઓની હાજરીમાં યોજી શકાશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા અંગે સરકાર મંજૂરી આપી શકે છે. આ અંગે ગૃહવિભાગે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. જેમાં ખુલ્લામાં યોજાતાં કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતાં કાર્યક્રમમાં ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 400 વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ ગણાશે. એટલે કે હવે રહેણાંક વિસ્તારોમાં થતા શેરી ગરબાં ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે તે પણ થઈ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇનમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી. પરંતુ હવે આ નવી ગાઈડલાઈન અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતાં હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે.

ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપી છે. તેનું કારણ એ છે કે જો તેમાં વધુ વ્યક્તિઓને પરવાનગી અપાય તો વિસર્જનના સ્થળે અલગ-અલગ સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી એક જ સ્થળે હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થઇ જાય અને ભીડ નિયંત્રિત થઇ ન શકે.

ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર 15 લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે. ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડબાજા અને ડીજેના કલાકારો 400 લોકોની મર્યાદા સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે. માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે તે નિર્ધારીત મર્યાદા સાથે થઇ શકશે. ધાર્મિક ઉપરાંત સામાજિક તથા અન્ય વરઘોડાને મંજૂરી અપાઈ છે. એટલે કે લગ્નો, ધાર્મિક અનુષ્ઠાનો કે સંમેલનો ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં પણ 400 લોકોની મર્યાદા સાથે વરઘોડો કાઢી શકાશે.

રાજ્ય સરકાર નવરાત્રિ સમયે વધુ એક માર્ગદર્શિકા બહાર પાડીને આયોજન તથા એસઓપીના પાલન અંગેની વધુ સ્પષ્ટતા કરતી ગાઇડલાઇન જાહેર કરશે. હજુ સુધી નવરાત્રિના જાહેર આયોજનને સરકાર તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અત્યારથી નવરાત્રિના આયોજનને મંજૂરી સૈદ્ધાંતિક રીતે મળી તેમ કહેવાશે. અત્યારથી આ જાહેરાત કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે કોમર્શિયલ ગરબા આયોજકોને તેમને કરવી પડતી જરૂરી તૈયારીનો સમય મળી રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments