Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં મેઘમહેર થઈ છે. રાજ્યના લગભગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક જ દિવસમાં પાણીના પ્રવાહમાં તણાવાની બીજી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બે બાળકોની લાશ પાણીના પ્રવાહમાંથી મળી આવી હતી. ત્યાં ફરી થોડા કલાકો બાદ પાલીતાણાના આકોલાળી ગામે કોઝવે પસાર કરતી વખતે એક 35 વર્ષનો યુવક તણાયો છે.
પાલીતાણાના આકોલાળી ગામે આવેલા કોઝવે પર વરસાદના કારણે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો તે દરમિયાન ભરતગીરી ગૌસ્વામી નામનો 35 વર્ષીય યુવક નદી પરના આ કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો. કોઝવે પસાર કરતી વખતે પાણીના પ્રવાહમાં આ યુવક તણાયો હતો અને નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઘટના અંગેની જાણ થતાં જ યુવકની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે.
આકોલાળી ગામે બનેલી આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવક સામા કાંઠેથી કોઝવે પસાર કરી રહ્યો હતો તે દરમિયાન બીજી તરફ રહેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ યુવક કોઝવે પર પાણીના ધસમસતાં પ્રવાહમાં જીવના જોખમે પસાર થઈ રહ્યો છે. કોઝવે પસાર કરતી વેળાએ અડધે પહોંચતાં જ યુવકનું બેલેન્સ બગડે છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક કોઝવે પરથી નદીના પાણીમાં ગરકાવ થઈ જાય છે.
ભાવનગરના આકોલાળી ગામે કોઝવે પસાર કરતી વખતે યુવક તણાયો pic.twitter.com/pSfDU9nN7c
— thechabuk (@thechabuk) September 9, 2021
35 વર્ષીય યુવક કોઝવે પરથી નદીના પાણીમાં ગરકાવ થઈ જવાની જાણ સ્થાનિકોને થતાં જ તુરંત તરવૈયાને જાણ કરવામાં આવી હતી. તરવૈયાઓએ ઘટના સ્થળ પર પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી છે. પાલીતાણા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો
આ તરફ ભાવનગરના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લા માટે પીવાના પાણીની મોટાભાગની જરૂરિયાત પૂરી પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં લોકોને પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા દુર થઈ છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થતાં ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં હજુ પણ પાણીની આવક શરૂ છે. ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમના દરવાજા ખોલી દેવાતાં 15,340 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામડાઓ અને વિસ્તારોને તંત્ર દ્વારા સચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત