Team Chabuk-Gujarat Desk: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે રમવા આતુર છે. ઘણા સમયથી નવરાત્રિના આયોજનને મંજૂરી મળશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આજે આખરે નવરાત્રિના આયોજનને લઈને રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે. ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિ થોડી હળવી થતાં રાજ્ય સરકારે શરતોને આધિન નવરાત્રિમાં ગરબાના આયોજનની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી દીધી છે. જેથી 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજી શકાશે. જો કે, ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનની પરવાનગી રાજ્ય સરાકે નથી આપી. આ સાથે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી એટલે કે 25 સપ્ટેમ્બરથી રાત્રિ કર્ફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.

આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલ 25 સપ્ટેમ્બરથી રાત્રિના 12 વાગ્યાથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

શેરી ગરબામાં 400 લોકોને જ છૂટ
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો માત્ર 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી.
લગ્ન પ્રસંગમાં પણ હવેથી 400 લોકોને છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 70% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત