Team Chabuk-Gujarat Desk: છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા LRD ઉમેદવારોના આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. LRD ઉમેદવારોની પડતર માંગણીઓને રાજ્ય સરકારે સ્વીકારી લેતાં આંદોલનનો અંત આવ્યો છે. આજ રોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને LRD ઉમેદવારો વચ્ચે બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારે ઉમેદવારોની મુખ્ય માગણી ખાસ વિજય મુહૂર્તમાં 12.39 મિનિટે સ્વીકારી લીધી હતી અને 2 દિવસમાં આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ ઉમેદવારોને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. બે ઉમેદવારોએ આંદોલનને લઈને માનતા રાખી હતી તેમાંથી એક ઉમેદવારની ચાની બાધા પણ તેમને છોડાવી હતી. આ સાથે આંદોલનકારી ઉમેદવારો સામે થયેલા કેસ પણ પાછા ખેંચવા સરકારે તૈયારી દર્શાવી છે.
વેઈટિંગ લિસ્ટ 20 ટકા રખાશે
મિટીંગ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેનું પરિણામ 2020માં આવ્યા હતું, પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું. સરકારને મળેલી વિવિધ રજૂઆતોને લઈને ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. હવેથી લોકરક્ષક દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા વેઈટિંગ લિસ્ટ રાખવામાં આવશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઈ રહે અને આશાસ્પદ યુવાનો-યુવતીને રોજગારીની તક મળે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આ મહત્વના નિર્ણયને લીધે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે. પોલીસના લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીમાં વધુ યુવાનોને સમાવવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત ક્રમાંક:LRB/201819/1 અન્વયે 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

અગાઉ સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટ રાખવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ તેનો અમલ થયો નહતો. સરકાર દ્વારા ઉમેદવારોને ઠાલા આશ્વાસનો અપાતા હતા જેના કારણે છેલ્લા 3 વર્ષથી ઉમેદવારો આ માંગણીને લઈને આંદોલન કરી રહ્યા હતા. છેલ્લાં 3 વર્ષથી આંદોલન કરી રહેલા 100 જેટલા ઉમેદવારોને સરકાર દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેઓ આજે બપોરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને બેઠકમાં સરકારે પરિપત્ર જાહેર કરવાનું કહેતાં અંતે આંદોલનનો અંત આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત