Team Chabuk-Gujarat Desk: જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગિંગ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક્શન મોડમાં આવ્યા છે. આ સમગ્ર મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું છે કે, રાજ્યમાં રેગિંગની ઘટના ભૂતકાળ બની જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, જામનગર જ નહીં રાજ્યમાં ક્યાંય પણ એક પણ શહેરમાં રેગિંગની ઘટના ન બને તે માટે પ્રયત્ન રહેશે. સાથે સાથે જામનગરમાં વિદ્યાર્થીઓનું રેગિંગ કરનારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ તેમણે ખાતરી આપી.
જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ સામૂહિક રેગિંગની લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં જૂની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના બીજા વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ આપી હતી.
ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, જ્યારથી તેઓ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં “ઈન્ટ્રોડક્શનના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ થાય તે રીતની હરકત કરી છે.” એટલું જ નહીં વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, સિનિયરની રેગિંગના કારણે ત્રણથી ચાર વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ કાયમી ઉકેલ લાવવા માગણી કરી છે.
બીજી તરફ ફરિયાદ મળતા પ્રિન્સિપાલે સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતી બનાવી છે. તપાસ સમિતીમાં ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની નિમણૂક કરવામાં આવી છે. હાલ તેઓ પીડિત વિદ્યાર્થી અને જેમની સામે આરોપ છે તેમના નિવેદન લઈ રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત