Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં જે સ્થિતિ રંગીલા રાજકોટ, જામનગર, ગોંડલ અને તેની આસપાસના વિસ્તારની થઈ એવી જ સ્થિતિ ગરવા ગિરનારની ગોદમાં વસતા, સંત અને સૂરાની ભૂમિ જૂનાગઢની પણ કરી નાખી હતી. ભારે વરસાદના પગલે અહીંના દામોદર કુંડ અને કાળવા ચોકની નીચેથી પસાર થતી કાલેન્દ્રી નથી પણ બે કાંઠે વહેલા લાગી હતી. જૂનાગઢના આ દૃશ્યો નયનરમ્ય પણ હતા જોખમગમ્ય પણ હતા.
ગઈકાલ રાતથી જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. આસપાસના નવ જેટલા વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે 2થી 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાય સમયથી વરસાદની ગેરહાજરીથી વાતાવરણ ગરમાયું હતું, તેમાં શીતળતા વ્યાપી ગઈ હતી. દામોદર કુંડ અને કાળવાના પુલની નીચેથી વહેતા ધોધમાર પાણીને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. બીજી બાજુ વિદેશી પક્ષીઓના ઉતારા તરીકે ખ્યાતનામ એવા નરસિંહ મહેતા તળાવમાં પણ નવા નીરની આવકે શહેરીજનોને પ્રફુલ્લિત કરી દીધાં હતાં. ગઈકાલે જ સહેલાણીઓ માટેનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. એકંદરે અહીં રાજકોટ અને જામનગર જેવી તડાફડીની સ્થિતિ નહોતી સર્જાઈ.
ગિરનાર અને તેની આસપાસની પ્રકૃતિ મેઘરાજાના આશિર્વાદના પ્રતાપે સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદથી ગિરનાર ઉપરથી ઝરણાઓ વહેતા થયા હતા. ગિરનારને નજીકથી જોતા એકદમ દૂધનું તળાવ હોય તેવું લાગતું હતું. પર્વત પર પડેલા દસ ઈંચ વરસાદને કારણે શહેરના જીવાદોરી સમાન હસ્નાપુર, વિલિંગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. વાત જો મુખ્ય જૂનાગઢ શહેરની કરવામાં આવે તો અહીં 6થી 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધીમાં પડેલા 15 ઈંચ વરસાદના કરાણે જૂનાગઢવાસીઓને હાશકારો થયો છે. નદી, નાળા અને ડેમ છલકાય ગયા છે.
મુખ્યત્વ મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી હોય ત્યારે સહેલાણીઓને ડેમમાં ભરાયેલા પાણીને જોવાની ઈચ્છા હોય છે, પણ જૂનાગઢના તંત્ર દ્વારા દામોદાર અને વિલિંગ્ડન ડેમ પર ચાર દિવસ સુધી પ્રતિબંધ લાદી સુચારુ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય જૂનાગઢ શહેરમાં આવેલા વિસાવદરના ગ્રામ્ય અને શહેરી પંથકમાં ચાર કલાકમાં બાર ઈંચ વરસાદ પડી જતા નદી-નાળા વહેતા થયા હતા. ખેતરો અને રસ્તાઓ પાણીથી લબાલબ થઈ ગયા હતા. બીજી બાજુ વંથલી અને માણાવદર હાઈવે પણ વરસાદના કારણે બંધ થઈ ગયો હતો. જણાવી દઈએ કે ભારે વરસાદના પગલે આજે જૂનાગઢમાં શૈક્ષણિક કાર્ય પણ સ્થગિત રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત