Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં તો છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે, પણ કેટલાક એવા વિસ્તારો પણ છે જે કોરાધાકોર છે અને વર્ષાની ઉચાટ સાથે પ્રતીક્ષા કરી રહ્યા છે. આ વિસ્તારમાં મહાનગર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. જેવી સ્થિતિ અમદાવાદની છે એવી જ સ્થિતિ તેની નજીક આવેલા સુરેન્દ્રનગરની પણ છે. જ્યાં વરસાદ ન વરસીને લુચ્ચો હોવાનું પ્રમાણ આપી રહ્યો છે.
હવે આગામી બે દિવસ બાદ એટલે કે 23મી જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડવાનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ વિસ્તારોમાં મેઘરાજા પહેલા જ મનમૂકીને વરસી ચૂક્યા છે. જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોને મેઘરાજાની પ્રિતિનો હજુ અહેસાસ નથી થયો. ગુજરાતના અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મહેસાણા, રાજકોટ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગત અઠવાડિયે વીકેન્ડ પર મેઘરાજાએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેના પરિણામે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ખાસ વલસાડના ઉમરગામમાં 8 ઈંચ વરસાદે શહેરને મીની તળાવમાં તબ્દિલ કરી દીધું હતું. તો દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વલસાડમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. વલસાડની ઓરંગા નદી બે કાંઠે થઈ છે. અહીં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને ટીમ સ્ટેન્ડ બાય છે. આ વર્ષે સીઝનનો કુલ 24.64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કોષ્ટકમાં વિસ્તાર પ્રમાણે જોઈએ તો….
| વિસ્તાર | કેટલો વરસાદ? |
| કચ્છ | 26.70 ટકા |
| ઉત્તર ગુજરાત | 18.93 ટકા |
| મધ્ય ગુજરાત | 20.84 ટકા |
| દક્ષિણ ગુજરાત | 24.64 ટકા |
| સૌરાષ્ટ્ર | 23.82 ટકા |
દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધારે મેઘકૃપા થઈ છે. ગુજરાત રાજ્યના કુલ 111 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે પણ સામે વરસાદ ખેંચાતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ઝાપટું પડ્યું હતું. શહેરના રોડ રસ્તાઓ સૂક્કા રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત