Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાના કારણે નિયમો વધુ કડક બનાવાઈ રહ્યા છે. નાઈટ કરફ્યૂ લગાવાઈ રહ્યો છે. માસ્ક ન પહેરનારા લોકો ફરીથી દંડાઈ રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી સલાહ આપી રહ્યા છે કે, પેનીક ન કરો, સાવધાન રહો અને નિયમો પાળો. જો કે, આ વાત માત્ર સામાન્ય નાગરિકોને જ લાગુ પડતી હોય તેવો ઘાટ સર્જાયો છે.
જો તમે નેતા છો, કોઈ પાર્ટીના કાર્યકર્તા છો તો તમને બધી જ છૂટ છે ! આ વાતનું તાજુ ઉદાહરણ રાજકોટમાં યોજાયેલું ભાજપનું શક્તિપ્રદર્શન છે. સુશાસન દિવસ કાર્યક્રમની પૂર્ણાહૂતિમાં અહીં હજારો કાર્યકર્તાઓ એકઠાં થયા અને નિયમોને ખિસ્સામાં મુક્યા.

દોઢ કિલોમીટરના રોડ શોમાં 100થી વધુ ગાડીઓ, 1000 જેટલા બાઈક ચાલકો જોડાયા. શું આને ભીડ ન કહેવાય ? એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કેસ વધતાં સમીક્ષા બેઠક યોજે છે અને કડક નિયમોનું પાલન કરાવવા સૂચના આપે છે. બીજી તરફ અમદાવાદથી માત્ર 207 કિલોમીટર દૂર તોએ જ રોડ શો યોજે છે ત્યારે સવાલ ચોક્કસ થાય છે કે શું માત્ર અમદાવાદમાં જ કોરોનાના કેસ વધવાની ભીતિ છે ? શું રાજકોટ કોરોનાપ્રૂફ છે ? ત્રીજી લહેરની આશંકા વચ્ચે આવા તાયફા કેમ ?
રોડ શૉમાં ખુલ્લી જીપમાં ઠાઠ સાથે ગયેલા મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી સહિતના નેતાઓએ તો માસ્ક પહેર્યું હતું. જો કે, ભાજપના કેટલાય એવા કાર્યકર્તાઓ જોવા મળ્યા કે જેઓ માસ્ક વગર રખડી રહ્યા હતા. શું આવા લોકોને પોલીસ દંડ ફટકારશે કે પછી ભાજપના કાર્યકર્તા છે એટલે બધુ ચાલે ? કારણ કે માત્ર અમદાવાદમાં માત્ર પાંચ દિવસમાં 2300થી વધુ લોકો માસ્ક વગર દંડાઈ ચુક્યા છે. માસ્ક વિના ફરનારા લોકો પાસેથી પાંચ દિવસમાં 27.17 લાખ વસૂલવામાં આવ્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત