Team Chabuk-Gujarat Desk: ચોમાસા બાદ નદી, નાળા અને ઝરણામાં પાણી ભરાવાના કારણે ઉત્સાહી યુવકો અને કિશોરો તરવાની ઘેલછાએ આગળ પાછળનું કંઈ જોયા વિના પાણીમાં કૂદી પડે છે અને મોતને ભેટે છે. સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાંથી આવા ગોઝારા અકસ્માતની વિગતો સામે આવી ચૂકી છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં બે કિશોરો પાણીમાં ડૂબી જવાની ઘટના બની છે. એન કેન પ્રકારે એક કિશોર તો બચી ગયો હતો પણ અન્ય એક કિશોરનું ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.
આ ઘટના બની છે ધોળીધજા ડેમ વિસ્તારમાં. જ્યાં ખોદકામ કરી રેતી, માટી લઈ જવામાં આવતી હોય દસથી વીસ ફૂટ ઉંડો ઘુનો થઈ ગયો છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આ ખાડો પણ ચિક્કાર ભરાઈ જાય છે. હામપરવાળા મેલડી માતાના મંદિરની બાજુની ખાડમાં પાણી ભરેલું હોવાથી વેલનાથ સોસાયટીના સગાભાઈ વિશેષ અને જય તથા મિત્ર ધ્રુવ ન્હાવા માટે ગયા હતા. પાણીની તાસિર છે કે ધીમે ધીમે એ લલચાવી નજીક બોલાવે. પહેલા તો છિછરા પાણીમાં જ ન્હાય રહ્યા પણ અચાનક વિશેષે ધુબાકો માર્યો.
થોડે દૂર જ ઉંડી ખાઈ શરૂ થઈ જતી હોવાના કારણે 14 વર્ષીય વિશેષ પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને ગરકાવ થઈ ગયો હતો. તેનો જીવ બચાવવા માટે બંને કિશોરોએ મહેનત કરી હતી પણ બચાવી નહોતા શક્યા. વિશેષને બચાવવા માટે તેના ભાઈએ તેનો પગ પકડી લીધો હતો. પરંતુ ચીકણી માટી હોવાના કારણે તેના ભાઈનો પણ પગ લપસવા લાગ્યો હતો જેથી તેના ભાઈનો પકડેલો પગ છૂટી ગયો હતો.
બંને ભાઈઓ પહેલા તો છિછરા પાણીમાં જ ન્હાતા હતા પણ વિશેષે ડૂબકી લગાવી હતી. જ્યાં ડૂબકી લગાવી ત્યાં ઊંડી ખાઈ આવી ગઈ હતી. તેણે બહાર નીકળવા માટે ધમપછાડા માર્યા હતા, પણ ઘૂનો ઉંડો હતો. જેથી તેના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા હતા. ઘરે આવી કિશોરોએ પરિવારજનોને આ વાત કહી હતી. પરિવારના સભ્યો આ સ્થળ પર આવ્યા હતા. ફાયર વિભાગનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને 15 મિનિટમાં 14 વર્ષીય વિશેષની લાશ જ બહાર આવી હતી. જેથી આસપાસ કરુણ દૃશ્યો સર્જાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત