Team Chabuk-Gujarat Desk: ગુરુની પૂજા અને ઉપાસના કરવાનો ખાસ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. અષાઢ શુક્લ પૂનમ એટલે કે આ વખતે આજે (21 જૂલાઈ) ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે થયો હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો પોતાના ગુરુની પૂજા કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.
વિરપુરમાં સુપ્રસિદ્ધ જલારામ મંદિર
રાજકોટથી નજીક આવેલું વિરપુર દુનિયામાં પ્રખ્યાત છે. વિરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી, દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે. છેલ્લા 200 વર્ષ કરતા વધારે સમયથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત યથાવત છે.

બગદાણા પૂ.બજરંગદાસ બાપા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે બાપા બજરંગદાસનો આશ્રમ આવેલો છે. બગદાણા ધામ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં સંત ‘બાપા સીતારામ’ તરીકે ઓળખાતા પૂ.બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. એટલું જ નહીં દેશના એકમાત્ર એવા સંત છે જેઓને રાષ્ટ્રીય સંતનું બિરુદ પણ મળેલું છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. બગદાણા માં દર વર્ષે બે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે છે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ ઉત્સવના દિવસે લાખો શ્રદ્ધાળુઓ બગદાણા ખાતે બાપાના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
સતાધાર પૂ. આપાગીગા
સતાધારની જગ્યામાં શ્રી હનુમાનજી મંદિર, શ્રી શિવમંદિર, શ્રી આપાગીગાનું સમાધીસ્થાન તેમજ તે જગ્યાનાં મહંતોની સમાધીઓ આવેલી છે. સતાધારમાં પણ આપા ગીગા ગધઈ (જ્ઞાતિ) સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સતાધારનુ વિશાળ રસોડુ અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ ત્રણથી ચાર હજાર માણસો નિરાંતે રાતવાસો રહી શકે તેવા અતિથિગૃહ છે. જેનું નામ બ્રહમલીન શ્રી શામજીબાપુ નાં નામ ઉપરથી શ્યામભવન રાખવામાં આવ્યુ છે. જ્યાં ઈ.સ 1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ ઓરડાઓ હતાં. આ સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે. તેના પર શ્રી શામજીબાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવડાવ્યા છે.
અમરેલીના ચલાલામાં એક એવી પવિત્ર જગ્યા આવેલી છે જેને દાના મહારાજના આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાના મહારાજના આશ્રમમાં હાલમાં મહંત વલકુ બાપુ આશ્રમની ગાદી પર બિરાજમાન છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે