Team Chabuk-Gujarat Desk: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં સેફ્ટી ઓન વ્હીલ કાર્યરત કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત વધુ ૧૩ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ આરોગ્યમંત્રીએ કહ્યું કે, નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કરાવવામાં આવશે. નાગરીકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે પણ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે. જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે.

તેમણે ઉમેર્યુ કે,તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને ૨૦૧૩માં બે ફૂડ સેફ્ટી વાન કાર્યરત કરાવવામાં આવી હતી. અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને પરીણામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને નવીન ૧૩ મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરાવીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામા આવશે.
મંત્રીએ ઉમેર્યું કે આ મોબાઈલ વાન અધ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. ઉપરાંત પેકિંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. જેમાં ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો ખાંડની માત્રાનું પ્રમાણ વધું હોય તો નમુનો લઈ ચકાસણી કરાશે. અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે. આ પ્રસંગે ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશીયા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત