Team Chabuk-Gujarat Desk: દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમને 50 વર્ષ પૂર્ણ થયા છે. રૂ.136 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ઉકાઈ જળાશય યોજના 29 જાન્યુઆરી, 1972ના રોજ પૂર્ણ થઈ હતી. ઉકાઈ જળાશય યોજનાને 50 વર્ષ થવા પર ચાલો માણીએ તેની રસપ્રદ વિગતો.

ઉકાઇ ડેમ બહુહેતુક યોજના
ગુજરાતની મોટી નદીઓમાં તાપીનો સમાવેશ થાય છે. તાપી નદીના વિશાળ જળરાશીના જથ્થાને દરિયામાં વહી જતા અટકાવવા, ઉકાઈ બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિંચાઇ, જળવિજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે.

ઉકાઈ ડેમની સંગ્રહ શક્તિ કેટલી?
ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ ૭,૪૧૪ મી. ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જીલ્લાની કુલ ૩.૭૯ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે, ઔધોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા અને પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં ૪૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. આ ઉપરાંત ૮૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સીસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ ડેમની ખાસિયત
ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતરબંધ તેમજ ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીચાર બંધ છે, તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મુકવામાં આવેલ છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. આ દરવાજાઓ દ્વારા તાપી નદીમાં આવતા મહાપૂર ઉપર નિયંત્રણ કરી મર્યાદિત માત્રામાં હેઠવાસમાં પાણી છોડી સુરત મહાનગરને પૂર દ્વારા થતી હાલાકીથી બચાવી લેવામાં આવે છે.

તાપી નદીના પુરને સમાવે છે
તાપી નદીમાં આવતા વર્ષો-વર્ષના નાના-મોટા પુરને ઉકાઇ બંધના જળાશયમાં સમાવી લેવામાં આવે છે. સને ૧૯૭૨ થી અત્યાર સુધીમાં ૧૭ વખત તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તા.૯/૮/૨૦૦૬ ના રોજ ૯.૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ડેમ માટે કેટલા ગામ ડૂબમાં ગયા?
હાલ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. આ ડેમના નિર્માણ થકી ૩૦,૩૫૦ હેકટર ખેતી લાયક જમીન, ૭૪૮૫ હેકટર જમીન બીન ખેતી લાયક, ૨૨૨૬૦ હેકટર જંગલની જમીન સહિત કુલ-૧૭૦ ગામડા ડુબાણમાં ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત