Team Chabuk-Gujarat Desk: પાટણ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસના રાજ્યકક્ષાના વન મહોત્સવનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા અને અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમારની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે જ પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસ આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જેમનો સતત ગુનેગારો સાથે પનારો પડે છે તેવા પોલીસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ જેવા હકારાત્મક કાર્યો કરવામાં આવે છે તે સરાહનીય છે. આજે વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં આવેલા પોલીસ સ્ટેશન્સ, પોલીસ હેડક્વાર્ટર અને પોલીસ આવાસ ખાતે ૨ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જેના ઉછેરથી પોલીસ સ્ટેશન્સમાં હરિયાળીના કારણે હકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં એ.ટી.એસ. દ્વારા દરિયાઈ સીમા પરથી ડ્રગ્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું, જો આ ડ્રગ્સ દેશમાં દાખલ થયું હોત તો લાખો યુવાનો બરબાદ થઈ જાત. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અટકાવવા ગુજસીટોક કાયદો અમલમાં મુકી લેન્ડ ગ્રેબિંગ અને અપહરણ જેવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને જેલના સળીયા પાછળ મોકલવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીના વિકાસની સાથે વધતા જઈ રહેલા સાયબર ક્રાઈમ પર રોક લગાવી શકાય અને તે અંગે જાગૃતિ કેળવવા સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યની સુરક્ષા જાળવવા જે વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે તેના થકી રાજ્યની મહિલાઓ સલામત છે. તેમ જણાવી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વિભાગની ‘શી’ ટીમ દ્વારા મહિલા સુરક્ષા માટે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી.
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉત્કૃષ્ટ બનાવવાની નેમ વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ટેક્નોલોજીના વિકાસની સાથે ગુનાખોરીમાં પણ નવી ટેક્નિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને અટકાવવા પોલીસ દ્વારા પણ હાઈટેક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સી.સી.ટી.વી. સર્વેલન્સના કારણે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો કરી શકાયો છે અને આગામી સમયમાં વિશ્વાસ-૨.૦ પ્રોજેક્ટ હેઠળ નાના શહેરોને પણ આવરી લેવામાં આવશે.
પાટણ ખાતે સૌપ્રથમવાર કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ માટે ૨ રૂમ ધરાવતા આવાસના લોકાર્પણ અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એક મોટો બદલાવ છે. કોરોનાકાળ અને તહેવારોના સમયમાં દિવસ-રાત ફરજ બજાવતા પોલીસકર્મી અને તેમના પરિવારજનો વધુ મુક્ત વાતાવરણમાં રહી તણાવમુક્ત થઈ શકશે.
ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, માનવતાવાદી અભિગમ ધરાવતા પોલીસ મહાનિદેશકશ્રીના નેતૃત્વમાં સુરક્ષા અને શાંતિના મંત્ર સાથે ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે રાજ્ય દેશભરમાં સુરક્ષાની દ્રષ્ટીએ પ્રથમ નંબર પર છે. હંમેશા જેમની ટીકા કરવામાં આવે છે તેવા પોલીસ વિભાગના હકારાત્મક કાર્યોને નાગરિકોએ પ્રોત્સાહન આપવું જોઈએ.
પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રીએ પદભાર સંભાળતાની સાથે જ પોલીસ વિભાગમાં નવીનત્તમ સુધારણા માટે સુચન કર્યા છે. તેમના દ્વારા વિવિધ સંવર્ગની ૨૫,૦૦૦થી વધુ મહેકમ માટેની ભરતી પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે જે ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકી પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ-૨.૦ પ્રોજેક્ટની સાથે સાથે ડ્રોન અને એન્ટી ડ્રોન તથા અકસ્માતો નિવારવા સ્પીડ ગન સાથેની ઈનોવા કાર સહિતના વાહનોની ખરીદી પણ કરવામાં આવશે.

પાટણ જિલ્લા પોલીસની કામગીરી અંગે વાત કરતાં પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે, લેન્ડગ્રેબિંગ, ઓઈલ થેફ્ટ, પાસા અને ગુજસીટોક સહિતના કાયદાઓ અંતર્ગત તથા બી.એસ.એફ. પણ કાર્યરત છે તેવા સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ પાટણ પોલીસ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. પાટણની સાથે સાથે સમગ્ર રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે.
અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમારએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ વિભાગ સુરક્ષિત ગુજરાતની સાથે સાથે હરિયાળા ગુજરાતની નેમ સાથે છેલ્લા પાંચ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરે છે. પોલીસ મથકો અને તેની આસપાસની પડતર જમીન પર બાગ-બગીચાની સાથે સાથે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોના ઉછેરથી પોલીસમથકોને ગ્રીન કેમ્પસ બનાવવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસકર્મીઓ માટે બનાવવામાં આવેલા નવનિર્મિત પોલીસ આવાસથી હાઉસ સેટીસ્ફેક્શન રેટમાં વધારો થશે. પાટણના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઑફ ઑનરથી આવકાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શલ હૉલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા વૃક્ષને રક્ષાસુત્ર બાંધી શાસ્ત્રોક્ત વિધિથી વૃક્ષપૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસ આવાસ નિગમ દ્વારા જાડેશ્વર પાલડી ખાતે રૂ.૧૧.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત બી ટાઈપના ૮૦ આવાસો તથા ચાણસ્મા ખાતે રૂ.૦૩.૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત બી ટાઈપના ૨૬ આવાસોની તકતીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત