Team Chabuk-Gujarat Desk: વર્ષ 2017માં નડિયાદમાં ખંડણીની લાલચે બાળકીના અપહરણ અને હત્યા કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે તાન્યા અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી રહેલા મિત પટેલ, તેના ભાઈ ધ્રુવ પટેલ અને માતા જીગીષા પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
ચુકાદા બાદ તાન્યાના દાદીએ ભાવુક થઈને કહ્યું કે, હત્યારાઓનો ફાંસીની સજા થવી જોઈતી હતી. સાત વર્ષની માસૂમ તાન્યાનું તેના પાડોશમાં જ રહેતા પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મીત પટેલના માથે લાખોનું દેવું થઈ જતાં તેણે સમગ્ર કાવતરું રચ્યું હતું. માસુમ તાન્યાનું અપહરણ કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો ?
18 સપ્ટેમ્બર 2017 ના રોજ માસુમ તાન્યા જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેનું અપહરણ કરી બાદમાં હત્યા કરવામાં આવી હતી. તાન્યા તેના દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી. તાન્યાના માતપિતા વર્ષોથી લંડનમાં રહેતા હતા. 18 સપ્ટેમ્બર, 2017 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ તાન્યાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કૌભાંડમાં તાન્યાના પાડોશી મિત પટેલની સંડોવણી સામે આવી હતી. તેણે 15 દિવસ પહેલા જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યું હતું. 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.

તાન્યાના માતાપિતા લંડનથી રૂપિયા મોકલતા હતા તે વાતની તેને જાણ હતી. તેથી તેણે સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. તેણે બે મિત્રો કૌશલ પટેલ અને અજય વસાવાની સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના માતા અને ભાઈની સંડોવણી પણ હતી. મીત પટેલે તાન્યાનું અપહરણ કરીને તેને આણંદ લઈ ગયો હતો, બાદમાં આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં તેને ફેંકી દીધી હતી. આ બાદ તે ઘરે આવી ગયો હતો અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવીને તાન્યાની શોધખોળનું નાટક પણ રચ્યુ હતું.
પોલીસને અપહરણ કરાયાની શંકા જતા મીત પટેલનો ભાંડો ફૂટ્યો હતો. તાન્યાના અપહરણ બાદ તેના દાદીએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પોલીસે મીત પટેલનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ માસુમ તાન્યાને બચાવી શકાઈ ન હતી. મહીસાગર નદીના પટમાંથી ત્રણ દિવસ બાદ તાન્યાની ડીસ્કમ્પોઝ થઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને જોઈને તેના માતાપિતા અને દાદી શોક મગ્ન થઈ ગયા હતા. આરોપી મીત પટેલનો તાન્યાની દાદી પાસેથી રૂપિયા 18 લાખની ખંડણીની માંગવાનો પ્લાન હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત