Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વિસાવદરમાં GRD જવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. નોકરી સાથે સાથે યુવક સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી પણ કરતો હતો. દાવો છે કે, યુવાનને મહેનત કરવા છતાં નોકરી ન મળતાં હતાશ થઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવાન વિસાવદર મામલતદાર ઓફિસમાં GRD જવાન તરીકે નોકરી કરતો હતો. કચેરીની બહાર જ તેણે ઝેરી દવા પી લીધી હતી. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયોછે. ત્રણ બહેનોએ એકના એક ભાઈ ગુમાવ્યો છે. યુવકે આત્મહત્યા પહેલાં સાત પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં હૈયાવરાળ ઠાલવી છે.
મૃતકે લખેલી સુસાઈડ નોટમાં વારંવાર ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાને લઈ નારાજગી વ્યકત કરી છે. લખ્યું છે કે ક્યા સુધી મા-બાપના સહારે ભણતર લઈશું. ક્યાં સુધી મનને મનાવવું. 2017થી પરીક્ષા આપવા જાય એટલે પરીક્ષા રદ, કેન્દ્રની પરીક્ષા હોય કે ગુજરાતની લાંબા સમયથી પરીક્ષા રદ સિવાય બીજું કંઈ મળતું નથી. હવે તો માનસિક રીતે થાકી ગયા છીએ.

યુવકે પોતાના પિતાને સંબોધીને પણ ભાવુક લખાણ લખ્યું છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે પપ્પાથી કામ થતું નથી. જે હવે ઊભા પણ થઈ શકતા નથી. તો પણ છેલ્લા છ મહિનાથી સમય માગ્યો અને કહ્યું- પપ્પા, એક મોકો આપો, બધું ઠીક થઈ જશે, પણ હવે બધું બગડ્યું. પરીક્ષામાં બસભાડું મફત કરવાથી કોઈ ફેર નથી પડતો. જિંદગીની 50 ટકા ઉંમર પૂરી થઈ ગઈ. કદાચ કંપનીમાં નોકરીએ લાગ્યા હોત તો અત્યારે પાંચ વર્ષનો અનુભવ થઈ ગયો હોત અને સારો પગાર થઈ જાત.
આગળ તેણે લખ્યું છે કે, આ વખતની પરીક્ષામાં પૂરો વિશ્વાસ હતો કે લાગી જઈશું. યાદ રહેતું ન હતું તોપણ કોડિંગ ભાષાથી બધું શીખ્યું. પરિવારમાં એક કમાણી પર બધું હોય તેને ખબર હોય. 100 દિવસ શું છે એ વિદ્યાર્થી અને સામાન્ય લોકોને જ ખબર હોય. ખરેખર બોર્ડનું કામ હતું કે પરીક્ષાનું પેપર ફૂટે નહીં. પરીક્ષા મોકૂફ રાખી બોર્ડે કોઈ મહાન કામ કર્યું નથી. પપ્પાની હાલત જોઈ રોજ રડવું આવે છે. શું કરવું ખબર નથી પડતી.

તેણે બહેનોને સંબોધીને લખ્યું છે કે, એક ભાઈ તરીકે આજ સુધી કંઈ આપી શક્યો નથી. મારા પગારની થોડીક મૂડી છે એ બહેનો તમે લઈ લેજો, કારણ કે અમદાવાદમાં ભાડું વધતું જશે. બસ, સબર કરજો. અલ્લાહના ફરીસ્તા સમજી મારી મિલકતની હકદાર મારી બહેનો તમે ખુશીથી લઈ લેજો. મારી પાસે દાન કરવા બીજું કશું નથી.

નોકરી મેળવી બહેનોને મકાન અને ભાણિયાને ભણાવવા હતા, પણ સપનું અધૂરું રહી ગયું. મારી મા મારું હૃદય હતી, મારા પિતા મારી આત્મા હતા અને મારો પરિવાર મારું જીવન હતું. અત્યાર સુધીની સફળતામાં અલ્લાહ/ભગવાન કરતાં પણ સૌથી મૂલ્યવાન અને દયાવાન મારાં માતા-પિતા અને મારી બહેનો હતી.

આસિફ સિપાઈએ સુસાઈડ નોટમાં પોલીસ સ્ટાફનો આભાર માનતા લખ્યું છે કે આજ સુધી મારા ઘડતરમાં તમામ કર્મચારીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. મારાં માતાપિતા હેરાન ન થાય એના માટે ગમે ત્યાં મારી હેલ્પ કરી છે.

આ મામલે જૂનાગઢના ડીવાયએસપીએ કહ્યું હતું કે મૃતક જીઆરડીમાં નોકરી કરતો હતો. મહેનત કરવા છતાં રોજગાર ન મળતાં આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં લખેલું છે. સુસાઈડ નોટના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
