Team Chabuk- Gujarat Desk: વસ્ત્રાલ ગામના મંદિર પાસે દિપડો આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. જો કે, હવે ગ્રામજનોને ચિંતા કરવાની જરૂર નથી વન વિભાગે કહ્યું છે કે, જેને લોકો દિપડો સમજી ડરી રહ્યા હતા તે ઝરખ છે. ઝરખને પકડવા વન વિભાગે પાંજરા મુકી દીધા છે. પંજાના નિશાન અને CCTV ફૂટેજ તપાસીને વન વિભાગે દાવો કરી દીધો છે કે એ દિપડો નહી ઝરખ છે.

વન વિભાગના ડીએફઓ ડો. શકીરાબેગમે આ અંગે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, વસ્ત્રાલમાં દિપડો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. જો કે, બીજી તરફ તેમણે એવું પણ કહ્યું કે, ઝરખ હુમલો કરી શકે છે, જેથી તેને પકડવા વન વિભાગે 4 પાંજરા મૂક્યા છે. ઝરખને પકડવા માટે વન વિભાગની ત્રણ ટીમ કામગીરી કરી રહી છે.

રવિવારથી જ વસ્ત્રાલમાં દિપડો આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. દિપડો આવ્યાની વાત વહેતી થતાં લોકોમાં દહેશત ફેલાઈ હતી. લોકો એટલા ડરી ગયા હતા કે, કેટલાક વિસ્તારમાં માર્કેટમાં પણ ભીડ નહીંવત જોવા મળી હતી. સ્થાનિકો તેમજ અમદાવાદના અન્ય વિસ્તારના લોકોમાં પણ આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો વોટ્સએપ તેમજ ફેસબુક સ્ટેટસ મૂકીને અન્ય લોકોને જાણ કરી રહ્યા હતા કે શહેરમાં દિપડો આવી ગયો છે. સાવચેત રહેજો. ગ્રામ્ય વિસ્તારોમાં દિપડો અવારનવાર જોવા મળતો હોય છે. શહેરી વિસ્તારમાં દિપડો ઘૂસી જવાની વાતથી લોકો ચિંતામાં મૂકાયા હતા. વસ્ત્રાલમાં તો લોકોને પોતાના નાના બાળકોની ચિંતા થવા લાગી હતી.
પહેલાં વન વિભાગને પણ લાગ્યુ હતું કે દિપડો છે. વન વિભાગે આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું હતું. જેમાં ગ્રામજનોને સાવચેત રહેવા સુચના આપી હતી.
સીસીટીવીમાં પણ પ્રાણી દેખાયું હતું
મંદિર નજીકના એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કોઈ પ્રાણી દોડીને રસ્તો પાર કરી રહ્યું છે. આ દરમિયાન કેટલાક લોકો પણ ત્યા ઉભા છે. જો કે, સીસીટીવીમાં સ્પષ્ટ નથી થતું કે તે દિપડો જ છે. જેથી વન વિભાગ પણ મુંઝવણમાં મૂકાયું હતુ. જો કે. ત્યારબાદ તે પ્રાણીના દોડવાની રીત અને દીપડાના દોડવાની રીત તેમજ પગના નિશાનના આધારે સ્પષ્ટ થયું હતું કે તે દીપડો નહીં પરંતુ ઝરખ છે.
આમ અમદાવાદના વસ્ત્રાલમાં દિપડો હોવાની વાત ફેલાઈ જતાં લોકો પણ ડરી ગયા હતા. તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જો કે અંતે દિપડો ન હોવાની વાત સામે આવતા લોકોએ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત