Team Chabuk-Gujarat Desk: 2016માં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ભયના ઓથાર હેઠળ રાખનારા ‘સ્ટોન કિલર’ ઉર્ફે હિતેષ દલપતરામ રામાવતને કોર્ટે આજીવન કેદ તેમજ 1 લાખ રૂપિયા દંડની સજા ફટકારી છે. સ્ટોન કિલરે રાજકોટમાં ત્રણ સ્થળે પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા બાદ સ્ટોનકિલર મૃતકનાં સ્વજનોને ફોન કરતો અને હત્યા કરી હોવાની માહિતી આપતો હતો. મૃતક પ્રવીણ બારડ અને વલ્લભ રંગાણીનાં સ્વજનોને ફોન કરીને હિન્દી ભાષામાં ‘ટપકા ડાલા હૈ’ એવું કહી ફોનનું કાર્ડ કાઢી નાખ્યું હતું. તેની પાસેથી પોલીસે 20 સિમકાર્ડ જપ્ત કર્યાં હતાં. મૃતક સાગર મેવાડાના કિસ્સામાં એ કરી શક્યો નહોતો, કેમ કે તેનો મોબાઈલ સ્ક્રીન લોક હતો.
6 વર્ષ પહેલાં સ્ટોનકિલરે લોકમાનસમાં રીતસર ફફડાટ ફેલાવ્યો હતો. તો ચોક્કસ વિસ્તારમાં લોકો રાત-રાત જાગીને ચોકીપહેરો કરવા લાગ્યા હતા. ગે માનસ ધરાવતા સ્ટોનકિલરે રાજકોટ પોલીસના નાકે પણ દમ લાવી દીધો હતો, પરંતુ પોલીસની સઘન તપાસને પગલે 2 જુલાઈ 2016ના રોજ તેની ધરપકડ કરી લેવાઈ હતી. આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે સ્ટોન કિલરને એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ તારીખે થઈ હતી હત્યા
20 એપ્રિલ 2016: ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાગર મેવાડાની હત્યા
23 મે 2016: મુંજકા નજીક રિક્ષાચાલક પ્રવીણભાઇની હત્યા
26 મે 2016: કાલાવડ રોડ પર હત્યાની કોશિશ
2 જૂન 2016: પાળ ગામની સીમમાં વલ્લભભાઇ નામના પ્રૌઢની હત્યા
ભક્તિનગર રેલવે સ્ટેશન યાર્ડના ગોડાઉન પાછળ જ સ્ટોનકિલરે પહેલી હત્યાને અંજામ આપ્યો હતો. સમલૈંગિક સંબંધ ધરાવતા સાગર મેવાડા સ્ટોનકિલરનો પહેલો શિકાર બન્યો હતો. તેને તરફડિયાં મારતો જોઈને તેને વિકૃત મજા આવતાં તેણે હત્યાનો સિલસિલો શરૂ કર્યો હતો. દાવો છે કે, બાળપણમાં તેના પર થયેલા સૃષ્ટિ વિરુદ્ધને કારણે તેણે જવાનીમાં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ તેણે મરવાનું નહીં, મારવાનું નક્કી કર્યું હતું.
શહેરમાં 3 હત્યા કરનાર સ્ટોનકિલર હિતેષ માત્ર ધોરણ-6 ભણ્યો હોવા છતાં તેને પેપર વાંચનનો ખૂબ શોખ હતો. તે લાઇબ્રેરીમાં જઈને પેપર વાંચતો હતો. હિતેષ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો હતો અને મોબાઈલમાં ફેસબુકનો વ્યસની હતો. હિતેષ સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ પેટ્રોલ જેવી ક્રાઈમ ટીવી સિરિયલ જોવાનો શોખીન હતો. સાથે સાથે તે ડિટેક્ટિવ ફિલ્મ, ઓનલાઈન બીભત્સ ફિલ્મ જોતો હતો.
20 જૂને સાગર મેવાડાને ત્રિકોણ બાગે મળીને ભક્તિનગર યાર્ડમાં લઈ જઈને હત્યા બાદ તેના મોબાઈલ અને રોકડ લૂંટ્યા લીધા હતા. ત્યાર બાદ તેને પૈસા લૂંટી લેવાની લાલચ જાગી હતી. એ જ રીતે તેણે 23 મેએ રિક્ષાચાલક પ્રવીણ બારડની રિક્ષા ભાડે કરીને યુનિવર્સિટી રોડ પર પથ્થર મારીને મોબાઈલ, રોકડ અને રિક્ષાની લૂંટ ચલાવી હતી.
સ્ટોનકિલર હિતેષનું વતન સુરેન્દ્રનગરનું સદાદ છે. હિતેષને એક ભાઈ, એક બહેન છે અને તે સૌથી નાનો છે. રાજકોટના કારખાનામાં કામ કરતો, ત્યાર બાદ 12 વર્ષની ઉંમરે જામનગર જતો રહ્યો હતો. ત્યાં વિવિધ જગ્યાએ ટ્રાન્સપોર્ટમાં ક્લિનરની નોકરી કરતો અને બેડેશ્વરમાં રહેતો હતો, પરંતુ પાછો રાજકોટ આવી ગયો હતો અને ભાઈ સાથે રહેતો હતો. તે કોઈ કામ-ધંધો ન કરતાં ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
ઘરેથી કાઢી મૂક્યા બાદ તે રાજકોટમાં ભટકતો રહેતો હતો. તે મોટે ભાગે સિવિલ હોસ્પિટલ અને જ્યુબિલી ગાર્ડન સહિતની જગ્યાએ પડ્યોપાર્થર્યો રહેતો હતો. દરમિયાન તે સમલૈંગિક સંબંધોમાં આગળ વધ્યો હતો અને પૈસાની લાલચમાં આ પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયો હતો. વર્ષ 2001માં તેના મોટા ભાઈનાં લગ્ન થયાં હતાં. ત્યારે પણ તેના વર્તનવ્યવહાર સારાં ન હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ તે અહીં-તહીં રખડતું જીવન ગુજારતો હતો.
દાવો છે કે, બાળપણમાં જ અત્યાચારનો શિકાર બન્યો હોવાથી રખડુ જીવન ગુજારતો હિતેષ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો અને સ્ટોનકિલર સુધી પહોંચી ગયો હતો. તે હત્યા કરી લીધા બાદ પૈસા લૂંટી લેતો હતો. સગીરાવસ્થામાં તે પોતે પણ જાતીય અત્યાચારનો ભોગ બન્યો હતો અને ત્યાર બાદ તેની વિકૃતિ સતત વધતી ગઇ હતી. હિતેષના મોટા ભાઇ જયેશના જણાવ્યા મુજબ હિતેષે અભ્યાસ અડધેથી છોડી દીધો હતો. 2001માં જયેશનાં લગ્ન થયા બાદ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
