Team Chabuk-Gujarat Desk: ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ભારતીજી મહારાજે મોડી રાત્રે અઢી વાગ્યે દેહ છોડ્યો હતો. મહારાજ બ્રહ્મલીન થતાં સાધુ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારતીજી મહારાજના પાર્થિવ દેહને જૂનાગઢના ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સવારે સાડા આઠથી સાડા નવ વાગ્યા સુધી ભક્તોએ અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમમાં મહારાજના અંતિમ દર્શન કર્યા હતા.
CMએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટરના માધ્યમથી ભારતી બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના દિવ્ય આત્માને ભગવાન સદગતિ આપે તેવી પ્રાર્થના સાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
— Vijay Rupani (@vijayrupanibjp) April 11, 2021
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ…!!
મહામંડલેશ્વર ભારતીબાપુનું સાધુ સમાજમાં ખુબ મોટું નામ છે. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ભવનાથના તમામ સમાજના અખાડામાં પણ તેઓ સંત તરીકે પૂજાતા હતા. તેમણે છેલ્લે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મહામંડલેશ્વર ભારતીબાપુ નિકટનો સંબંધ ધરાવતા હતા.
1992માં મહામંડલેશ્વર બન્યા હતા
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામે થયો હતો. 4 જાન્યુઆરી 1965માં બાપુએ દિગંબર દીક્ષા લીધી હતી. ત્યારબાદ 21મે 1971માં તેઓએ અમદાવાદમાં ભારતી આશ્રમની સ્થાપના કરી હતી. ભારતીબાપુ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ વ્યશન મુક્તિ માટે પણ કામ કર્યું છે. તેઓએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પુરૂષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિનો સંદેશ સાથે કામ કર્યું હતુ.
લોકોની નિઃશ્વાર્થ સેવા કરી
લોકોની સેવા માટે તેઓ ક્યારેય પાછા નથી પડ્યા. ભારતીબાપુએ પોતાના સરખેજ સ્થિત આશ્રમમાં આયુર્વૈદિક દવાઓનું ઔષધાલય બનાવ્યું હતું. જ્યાંથી દર્દીઓને મફતમાં સારવાર અને દવાઓ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમમાં સ્વયંસંચાલિત ગુરૂકુળ છે જ્યા એક પણ રૂપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે.
મહામંડલેશ્વર ભારતીબાપુની ચીર વિદાયથી હાલ સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે. સાધુ સંતો અને ભારતીબાપુને માનતા તમામ લોકો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત