Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લામાં દુકાનદારને ગોળી મારીને હત્યા કરવાના મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મોરબીના ટંકારામાં વૃદ્ધ દુકાનદાર તેમની દુકાને હતા તે દરમિયાન ત્રણ શખ્સોએ લમણે ગોળી મારીને હત્યા કરી હતી અને બાદમાં તેમના દીકરાને અજાણ્યા નંબર પરથી ફોન કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ ઉપરાંત અન્ય એક વેપારી પાસેથી પણ 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ટંકારા વિસ્તારમાં જુદા-જુદા બે વેપારીઓને જુદાજુદા મોબાઈલ નંબર પરથી અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગવામાં આવી હતી. જેમાં ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર 37 વર્ષ) પાસેથી 10 લાખ અને ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) પાસેથી 5 લાખ રૂપિયા આમ કુલ મળીને ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં નવો જ ખુલાસો સામે આવ્યો છે.
ફરિયાદી અરવિંદભાઈ કકાસણીના પિતા સવજીભાઈ રામજીભાઈ કકાસણીની તેમની દુકાન સરિતા ટ્રેડિંગમાં બેઠા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસે ત્રણ આરોપી હર્ષિત બેચરભાઈ ઢેઢી (રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા, 19 વર્ષ), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (રહે. લો વાસ ટંકારા, ઉંમર 20 વર્ષ) અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા (રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા) ની ધરપકડ કરી છે.

અગાઉ ટંકારા પોલીસે ખંડણી અને ફોન ઉપર ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જોકે, આ ગુનામાં પકડાયેલા આરોપીઓએ સવજીભાઈ રામજીભાઈ કકાસણીની દેશી કટ્ટાથી તેમના લમણે ફાયરિંગ કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હત્યા, કાવતરું સહિતની કલમ ઉમેરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખૂલ્યુ છે કે, હર્ષિત ઢેઢી મૃતક સવજીભાઈની દુકાને આવતો જતો હતો. જેથી કરીને તેને દુકાને કરવામાં આવતા આર્થિક વ્યવહારની જાણકારી હતી અને તેને પ્રિન્સ અઘારાને પોતાની સાથે રાખ્યો હતો અને પ્રિન્સ અઘારા કોઈ જગ્યાએથી દેશી કટ્ટો લઈને આવ્યો હતો. જેનાથી હર્ષિત ઢેઢીએ સાવજીભાઈની લમણે ગોળી મારીને હત્યા કરી હતી. જો કે, તે સમયે પરિવારના લોકોને એવું લાગ્યું હતું કે, હાર્ટ એટેક આવ્યો હોવાથી નીચે પડ્યા હશે અને માથામાંથી લોહી વહી જવાથી તેઓ ચોંકી ગયા હતા. ત્યાર બાદ મૃતકના દીકરા અને અન્ય વેપારીને ખંડણી માટેના ફોન કરવામાં આવ્યા અને તેના પરિવારના લોકોને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ગુનો નોંધાયો હતો અને તેમાં ત્રણેય હત્યારાને પોલીસે ઝડપી લીધા છે. તેમની પાસેથી ત્રણ મોબાઈલ અને એક બાઇક કબજે કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યુ છે કે, આરોપી હર્ષિત ઢેઢી અને પ્રિન્સ અઘારા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ પણ કેટલાક ગુનાઓ તેમણે આચર્યા હોવાની શક્યતા છે. જેથી પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગવા માટેની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
