Team Chabuk-Gujarat Desk: શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઈના રોજ થયો હતો અને તા.27 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની પુર્ણાહુતિ થઈ હતી. શ્રાવણ માસની પુર્ણિમા,ચાર સોમવારો,જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રિકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.
390 ધ્વજારોપણ કરવામાં આવી
શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 390 ધ્વજા રોપણ, 510 સોમેશ્વર મહાપૂજન, 84 સવાલક્ષ બિલ્વપૂજા, 6865 રૂદ્રાભિષેક, 2,493 બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે 4595 મહામૃત્યુંજય મંત્રજાપ કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત 16,088 યાત્રિકોએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 3,37,848 યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.
90 હજારથી વધુ ભક્તોએ નિઃશુલ્ક પ્રસાદ લીધો
સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 90 હજારથી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી, આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમીયાન હજારો યાત્રીઓને ફલાહાર કરાવવામાં આવ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન યાત્રિકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પૂજાવિધિ, ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ, દ્વારા 2.37 કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી. 30.23 લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદીના સિક્કા યાત્રિકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા. સોમનાથ મહાદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે યાત્રિઓમાં હમેશા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે યાત્રિઓની સુલભતા માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કાઉન્ટર શરૂ કરાયા હતા, જેનો લાભ લઈ યાત્રીઓ પોતાના અને સ્વજનો માટે 3.23 કરોડનો પ્રસાદ સાથે લઈ ગયા હતા. મંદિરની પ્રસાદ, પૂજાવિધિ, ડોનેશન, ચાંદીના સિક્કા સહિતની કુલ આવક 5.90 કરોડ જેટલી થઈ છે.
શ્રાવણ માસ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં દેશના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડું, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભા સાંસદ પ્રકાશ જાવડેકર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, ગુજરાત રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, પુર્ણેશ મોદી, કુબેર ડીંડોર, નરેશ પટેલ, મનિષાબેન વકીલ, ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહિતના મહાનુભાવો સોમનાથ દર્શને પધાર્યા હતા.
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડિયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 12.75 કરોડથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પૂજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વીડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.
કરોડો ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ ત્રિરંગા લાઇટીંગની થીમ પર બનાવવામાં આવેલ એક રીલને ફેસબુક પર એક કરોડ થી વધુ રીચ મળી હતી. સાથે જ શિવભક્તિના ભજન-સ્તોત્ર પર વિવિધ ઓડીયો કંટેઇનને ગ્રાફીકલી એડીટીંગ સાથે તૈયાર કરી સવારે ભક્તો માટે રીલીઝ કરવામાં આવતા હતા, જેમને પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ફેસબુક પર 7 કરોડ, યુટ્યુબ પર 2.80 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 1.94 કરોડ, ટ્વીટર પર 9 લાખ, કુ એપ પર 2.71 લાખ, સહિતના મળી કુલ 12.75 કરોડ દેશ-વિદેશમાં વસતા ભક્તો ઓનલાઇન દર્શન-આરતી-પુજામાં જોડાઈને ધન્ય બન્યા હતા.
શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાં વસતા 2,126 ભક્તોએ ઓનલાઈન પૂજાનો ઓનલાઇન માધ્યમથી ઇ-સંકલ્પ કરી હજારો કિમી દૂર બેસીને પણ સોમનાથના સાનિધ્યનો અનુભવ કર્યો હતો. શ્રાવણ દરમિયાન ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થામાં ગોઠવવામાં આવી હતી.
સુચારું આયોજન
શ્રાવણ માસ દરમિયાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રિકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર