Homeગુર્જર નગરીમ્યુકોરમાઈકોસિસે વધારી ચિંતા, રાજકોટમાં દરરોજ આટલા ઓપરેશન થઈ રહ્યા છે

મ્યુકોરમાઈકોસિસે વધારી ચિંતા, રાજકોટમાં દરરોજ આટલા ઓપરેશન થઈ રહ્યા છે

Team Chabuk-Gujarat Desk: એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં મ્યુકોરમાઈકોસિસે માથું ઉચક્યું છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. દિન પ્રતિદિન મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના કારણે ફફડાટ ફેલાયો છે. દેશભરમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ રાજકોટમાં નોંધાયા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 400થી વધુ મ્યુકોરમાઈકોસસના દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગ સામે લડવા સિવિલ હોસ્પિટલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આંખના સર્જન સહિતની ટીમો કામે લાગી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 30 નવા દર્દીઓ સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. 500 બેડની હોસ્પિટલ હાઉસફુલ થતા હવે સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવશે. આજે 7 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 

રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલ 400થી વધુ દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. દરરોજ 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે અને દરરોજ 30 જેટલા દર્દીઓની ઓપીડી આવી રહી છે. આ બધા વચ્ચે આજે પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાંથી 7 દર્દીઓને રજા આપવામાં આવશે. 

મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહેલા સાત જેટલા દર્દીઓને સર્જરી સહિતની સારવાર કરવામાં આવી હતી અને સારવાર કારગત નીવડી હતી અને તેમની તબિયતમાં સુધારો નોંધાતા આ તમામ દર્દીઓને આજે સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દર્દીઓને ઘરમાં પુરતી સાવધાની રાખવા અને જરૂર પડ્યે હોસ્પિટલમાં આવવાની સુચના આપવામાં આવશે. મ્યુકર માઈકોસિસની સારવાર ખુબ જ લાંબી હોવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધતા બેડ ફુલ થવા લાગ્યા છે. 

જો કે હવે ડિસ્ચાર્જ પોલીસીમાં સુધારો આવ્યો હોવાથી આઠ દિવસમાં યોગ્ય સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવશે અને સિવિલમાં દર્દીઓની સંખ્યા ફુલ થઈ જતા સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરનો એક માળ મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે અને સિવિલમાં ઓપરેશન બાદ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ખસેડવાનું શરૂ કરાયું છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સિવિલમાં વધતા ઈએનટી સર્જનોની ત્રણ ટીમ દ્વારા 24 કલાક ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે. ત્રણ ટેબલ પર ઓપરેશન થઈ રહ્યા છે છતાં ઓપરેશન માટે દર્દીઓનું લાંબુ વેઈટીંગ હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા ઓપરેશનના ટેબલ વધારવા 20 લાખના સાધનોની ખરીદી માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 150 સર્જરી કરવામાં આવી છે.

કોરોનામાંથી સાજા થયા પછી હવે નવી બીમારી મ્યુકોરમાઈકોસિસ આવી છે. કોરોનાથી પણ વધુ ઘાતક આ રોગ છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી નેગેટિવ રિપોર્ટ આવીને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ અતિ ગંભીર સાવચેતી રાખવી જરૂરી છે. મ્યુકોરમાઈકોસિસ થવા પાછળ ડાયાબિટીસ સૌથી વધુ કારણભૂત છે. કોરોનાના દર્દી સાજા થયા પછી પણ જો સતત 15 દિવસ સુધી ડાયાબિટીસ 200થી વધુ રહેતુ હોય તો મ્યુકોરમાઈકોસિસ થવાનું જોખમ વધુ રહે છે. સુગર સતત 200થી વધુ રહેતુ હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments