Homeગુર્જર નગરીજૂનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શોધી કરોળિયાની એક અનોખી જાત, દુનિયાના 49,858 કરોળિયાથી...

જૂનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શોધી કરોળિયાની એક અનોખી જાત, દુનિયાના 49,858 કરોળિયાથી આ રીતે પડે છે અલગ

Team Chabuk-Gujrat Desk: જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ટૂંકા ગાળામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી લીધી છે. યુનિવર્સિટી શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃતિની સાથે સાથે વિજ્ઞાન વિષયમાં પણ આગળ વધી રહી છે. હાલમાં જ યુનિવર્સિટીના ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર) ડિપાર્ટમેન્ટ દ્વારા કરોળિયાની તદ્દન નવી જાતની શોધ કરવામાં આવી હતી. આ શોધની પાછળના બે મોટા ચહેરા એટલે ઝૂલોજી વિભાગના વડા જતિન રાવલ અને તેમની પીએચડીની વિદ્યાર્થિની નમ્રતા હૂણ છે.

વિશ્વમાં ગણ્યા ગણાય નહીં એટલી કરોળિયાની જાત છે. એક આંકડા તરફ દૃષ્ટીપાત કરીએ તો સૃષ્ટીમાં કુલ 49,858 કરોળિયા છે. પણ જે કરોળિયાની જાત ભવનના વડા જતિનભાઈ અને તેમની પીએચડીની વિદ્યાર્થિની નમ્રતા બહેને શોધી કાઢી છે, તે આ 49,858 કરોળિયાથી અલગ છે. કરોળિયાના અંગ ઉપાંગો વિશે જાણીએ તો… તેનું માથું ઝાંખા કે ઘાટા લાલાશ પડતા રંગનું ગોળાકાર છે, ઉદરનો ભાગ ભૂરો છે અને શરીર પર આછી એવી કાળા રંગની રુંવાટી છે.

આ સિવાય અન્ય 49,858 કરોળિયાની જાતથી જે વસ્તુ આ કરોળિયાને અલગ પાડે છે તેમાં પગની પ્રથમ જોડી અન્ય ત્રણ જોડીની સાપેક્ષે અતિશય ભારે અને મજબૂત છે. આ કરોળિયાને નામ પણ આપવામાં આવ્યું છે. નરસિંહ મહેતાઈ. ખાસ કરીને ગિરનારના જંગલ અને દાતારની ટેકરીમાં જોવા મળે છે. ગિરનારના જંગલને અને ગિરનારને એમ નેમ તો ગેબી કહેવાતો નથી. અહીં ઔષધીઓથી લઈને કેટલીય વસ્તુઓ એવી છે જેના ઘેરા રહસ્ય પરથી પડદો નથી હટ્યો. નરસિંહ મહેતાઈ કરોળિયો પણ એમાં જ ગણી લો.

સોશિયલ મીડિયા પર લેખક અને વક્તા જય વસાવડાએ પણ આ માહિતી શેર કરી હતી અને જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ધ્રૂવ પ્રજાપતિ નામના યુવાને શેર કરેલી માહિતીને ટ્વીટર પર ફોરવર્ડ કરતા લખ્યું છે કે, ‘Great Narsinh Mehta must be a global name. True icon of love, humanity, Indian spiritual ethos & colorful celebration of senses as well beyond borders of caste, color, gender, ritual or any division. Priya Moraribapu endorsed his youthful look. Welcome the Spider&Man at home!’

નરસિંહ મહેતા એટલે…

આ કરોળિયાનું નામકરણ ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ પરથી પડ્યું છે. જે યુનિવર્સિટીનું પણ નામ છે. તેમને આદિકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમના કૃષ્ણ રચિત પદ આજે પણ અજરા અમર છે. જેમણે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્વજન તો… ની રચના કરી હતી. ઈ:સ 1414માં તળાજામાં જન્મ્યા અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી. એ સમયે જૂનાગઢ જીર્ણદુર્ગ તરીકે ઓળખાતું હતું. જૂનાગઢ ગિરનાર વગર ખાલી ખાલી લાગે, એમ નરસિંહ મહેતા વગર પણ લાગે. ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર પણ આ આદ્યકવિના જીવન પર જ આધારિત હતું.  શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ સહિતની તેમની કૃતિઓ ક્લાસિક છે. આ નામ થકી તેમને હવે વિશ્વવ્યાપી ઓળખ મળી ગઈ છે.

તાજેતાજો ઘાણવો        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments