Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત માહિતી ખાતાએ પોસ્ટ કરેલો એક વીડિયો રિ-ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં કાળિયાર રસ્તો ક્રોસ કરી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે જાણે કોઈ વીડિયો ઈફેક્ટ હોય. કાળિયાર એક સરખી રીતે અને એક જ ગતિથી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. વીડિયો રિ-ટ્વીટ કરતાં પ્રધાનમંત્રીએ એક જ શબ્દ લખ્યો છે ‘ઉત્તમ.’
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021
ગુજરાત માહિતીખાતાએ વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં ત્રણ હજારથી વધુ કાળિયાર રસ્તો ક્રોસ કરતાં જોવા મળ્યા. એક મીનિટના આ વીડિયોમાં દૂર-દૂર સુધી કાળિયાર જ જોવા મળી રહ્યા છે. રસ્તાની બંને બાજુ કાળિયારે કબજો કર્યો છે જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકોએ ત્યાં જ ઉભા રહી જવું પડ્યું હતું. પ્રકૃતિપ્રેમીઓનો દાવો છે કે, એક સાથે આટલા કાળિયારના આવા દ્રશ્યો જવલ્લે જ જોવા મળે છે.
વેળાવદર કાળિયાર અભ્યારણ્ય અને કાળિયાર
ગુજરાતના ભાવનગરના વેળાવદરમાં કાળિયાર (blackbuck) અભ્યારણ્ય આવેલું છે. અહીં દુનિયાના સૌથી સુંદર મનાતા (હરણ) કાળિયાર વસવાટ કરે છે. કાળિયારને કૃષ્ણમૃગ પણ કહેવામાં આવે છે. કાળિયાર પહેલાં ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળતા હતા જો કે, હવે કાળિયાર ભારતના ગણ્યા ગાઠ્યા વિસ્તારોમાં જ જોવા મળે છે જેમાનું એક છે વેળાવદર. અમદાવાદથી માત્ર 150 કિલોમીટર દૂર વેળાવદર કાળિયાર નેશનલ અભ્યારણ્ય આવેલું છે. આ અભ્યારણ્ય ઘાસના મેદાનોથી 36 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. અને બે નદીઓની વચ્ચે આવેલું છે. અહીં કૃષ્ણમૃગના મોટા-મોટા ઝુંડ જોવા મળે છે. મોટા ભાગે સવારે અને સાંજના સમયે કાળિયાર ચરવા નીકળે છે. દિવસભરમાં એક હરણ 3થી 4 કિલો ઘાસ આરોગી જાય છે.
60ના દશકામાં અહીં કાળિયારની સંખ્યા ખુબ ઘટી ગઈ હતી. લોકો અહીં કાળિયારનો શિકાર કરતાં હતા. જેથી 1966માં કાળિયારની સંખ્યા 8 હજારથી ઘટીને માત્ર 200એ પહોંચી ગઈ હતી. ત્યારબાદ કાળિયારના સંરક્ષણ માટે 1976માં વેળાવદરને નેશનલ પાર્કને દરજ્જો આપી દેવામાં આવ્યો. આ નિર્ણયથી કાળિયારની સાથે સાથે નીલગાય અને તેમના પરભક્ષીઓને પણ સંરક્ષણ મળ્યુ. આજે વેળાવદરમાં અંદાજે 7 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે.
એવી પણ લોકવાયકા છે કે, 80 કિલોમીટરની ઝડપે દોડતાં આ કાળિયારનો શિકાર રાજા મહારાજાઓ પોતાના પાલતુ ચિત્તાથી કરતાં હતા. અકબર પાસે આવા એક હજાર ચિત્તા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત