Team Chabuk Gujarat Desk: વલસાડમાં એક દુષ્કર્મના આરોપી શિક્ષકને અન્ય યુવતીનું જીવન બરબાદ કરતાં પોલીસે રોકી લીધો. અને લગ્ન કરે તે પહેલાં જ વરરાજાને જેલમાં ધકેલી દીધો છે. પોલીસે આરોપીના લગ્ન કરવાના સપના પર પાણી ફેરવી દીધુ છે. સાથે જ જેની સાથે લગ્ન કરવાનો હતો તે કન્યાનું જીવન બરબાદ થતાં પણ બચાવી લીધુ છે. હવે જો આરોપી દોષિત સાબિત થશે તો તેને લાંબા સમય સુધી જેલમાં જવાનો વારો આવશે.
આરોપીનું નામ – મયુર રાણા
વ્યવસાય – શિક્ષક
ઘટના વલસાડના છીપવાડા વિસ્તારની છે. જ્યાં વરરાજાના લગ્નના બસ થોડા કલાકો જ બાકી હતા. વરરાજાની પીઠીની વિધી ચાલી રહી હતી. પરિવારજનો અને જાનૈયાઓમાં ખુશીનો માહોલ હતો. વરરાજાનો વરઘોડો કાઢવા માટે મિત્રો અને સગાસંબધીઓ તૈયારી કરી રહ્યા હતા. જો કે, આ પહેલાં વલસાડ પોલીસ વરરાજાનો વરઘોડો લઈને તેમના ઘરે પહોંચી ગઈ હતી. અને લગ્નનો ઢોલ વાગે તે પહેલાં જ વરરાજાનો ઢોલ વગાડી દીધો હતો !
વરરાજાનું નામ મયુર રાણા છે જે નવસારીના બિલીમોરા તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મયુર પર આરોપ છે કે, તેણે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. તેના જ કારણે વિદ્યાર્થિનીના પરિવારજનો પોલીસને લઈને મયુરના ઘરે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થિનીઓના પરિવારે આરોપી મયુરની ધોલાઈ પણ કરી હતી. સાથે જ હોબાળો મચાવતા મોટી સંખ્યામાં લોકો પણ એકઠાં થઈ ગયા હતા. જ્યારે પોલીસ પીડિતાના પરિવાર સાથે પહોંચી ત્યારે વરરાજાના ઘરનો માહોલ થોડો ઉગ્ર બન્યો હતો. જો કે, પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હોવાથી મામલો કાબૂમા રહ્યો હતો. થોડા હોબાળા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને વરરાજાને પીઠીવાળા કપડાંમાં જ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.
પોલીસે જણાવ્યા મુજબ મયુર રાણા પર આરોપ છે કે, વર્ષ 2017માં તેણે 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે શરીર સંબંધ બાધ્યા છે. હાલ આ ગુનામાં મુયર રાણા વિરુદ્ધ આઈપીસી અને પોક્સો એક્ટ મુજબ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
જો કે, હાલ તે ગુનો સ્વીકારવા તૈયાર નથી. તે નિર્દોષ હોવાના બણગા જ ફૂંકી રહ્યો છે. અને ખોટી રીતે ફસાવ્યો હોવાનો દાવો કરી રહ્યો છે. જો કે, આ ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
બીજી તરફ મયુર રાણાનો ગુનાહિત ઈતિહાસ સામે આવતા કન્યા અને તેનો પરિવાર પણ આશ્ચર્ય અને શોકમાં છે. મયુર પર દુષ્કર્મનો આરોપ લાગતા કન્યા પણ હાલ કઈ વિચારી શકતી નથી. મયુરનો સાથ આપવો કે તેની વિરુદ્ધમાં જવું તે અવઢવમાં કન્યા પણ પડી ગઈ છે. કેમ કે, કોઈ પણ યુવતી દુષ્કર્મી સાથે જીવન જીવી શકે નહીં. અને જો યુવતી તેની સાથે લગ્ન કરી પણ લે બાદમાં આરોપ સાચો સાબિત થાય તો આગળ શું કરવું તેને લઈને પણ અનેક સવાલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત