Homeગુર્જર નગરી16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશનનું લોકાર્પણ, ગુજરાતને મળશે અનેક...

16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશનનું લોકાર્પણ, ગુજરાતને મળશે અનેક ભેટ

Team Chabuk-Gujarat Desk: આગામી 16 જુલાઈને શુક્રવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અદ્યતન નવીનીકરણ પામેલા રેલવે સ્ટેશન અને આધુનિક ફાઈવ સ્ટાર હોટેલનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં નવીનીકરણ પામેલા અદ્યતન રેલવે સ્ટેશનની ભેટ મુસાફરોને આપવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈએ બપોરે 4 કલાકે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નવીનીકરણ પામેલા અદ્યતન સુવિધાસભર રેલવે સ્ટેશન અને આધુનિક ફાઈવ સ્ટાર હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવશે. ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેન સેવાનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિલોમીટર રેલવે ઇલેક્ટ્રીફિકેશનની કામગીરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેક્ટ્રીફાઈડ બ્રોડગેજ રેલ ખંડનું પણ પ્રજાર્પણ કરશે.

સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોમાં રૂપિયા 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરી, રૂપિયા 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂપિયા 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16 જુલાઈના રોજ કરવામાં આવશે.

આમ 16 જુલાઈના રોજ અનેકવિધ પ્રોજેક્ટની ભેટ ગુજરાતની જનતાને મળશે. મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવીનીકરણ પામેલું અદ્યતન રેલવે સ્ટેશન અને 318 રૂમની સુવિધાયુક્ત ફાઈવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીક હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બની રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments