કોમરેડ જસ્મીન: રાજકોટના જસદણ તાલુકાનું આંબરડી ગામ ગુજરાત માટે કોરોના સામેની લડાઈમાં પ્રેરણાત્મક ઉદાહરણ બનીને સામે આવ્યું છે. છેલ્લા અઠવાડિયામાં આંબરડી ગામમાં સંક્રમણ ઓછું થયું છે પરંતુ ગામના સંયુક્ત પ્રયાસથી મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
આંબરડી ગામના સ્થાનિકોએ કહ્યું કે, ગત અઠવાડિયામાં એવી સ્થિતિ હતી કે ગામમાં રોજ એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું હતું. 7 હજારની વસતી ધરાવતા આંબરડી ગામમાં દહેશત ફેલાઈ હતી. ત્યારબાદ સરપંચ અને ગામના આગેવાનોએ કોરોના સામેની લડાઈ આક્રમક બનાવી જેનું પરિણામ આપણી સામે છે.
ગામમાં માર્ચ મહિનામાં એકલ-દોકલ કેસ નોંધાઈ રહ્યા હતા. મોટા ભાગના કેસ બહારગામથી આવેલા લોકોના પોઝિટિવ આવી રહ્યા હતા. જેને ધ્યાને રાખઈને ગામના સરપંચે કડક નિયમો બનાવ્યા અને ગામ બહારથી આવતા તમામ લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કર્યા.
બીજી તરફ ગામમાં સ્વૈચ્છિક જાગૃતિ પણ કોરોના સામેની લડાઈમાં કામે આવી. કોઈએ જાહેરાત ન કરી હોવા છતાં ગામમાં આવેલી કરિયાણા સહિતની દુકાનો સ્વૈચ્છિક બંધ રહી. લોકોએ પણ કારણ વગરનું ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. સામાજિક અને ધાર્મિક મેળાવડા સ્વૈચ્છિક રીતે જ સંપૂર્ણ બંધ થયા. એટલું જ નહીં ગામમાં કોઈના મૃત્યુબાદ બેસણા પણ બંધ થયા.
કોરોના સામેની લડાઈમાં ગામના યુવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો.ગામના આગેવાનોએ ગલીએ-ગલીએ જઈને સેનેટાઈઝરનો છંટકાવ કર્યો. ગામમાં ઉકાળા વિતરણ પણ બિલકુલ મફતમાં થયું. આ તમામ બાબતો કોરોનાની લડાઈમાં ખુબ જ કામ આવી.
આજે ગામમાં કોરોનાનું સંક્રમણ બિલકુલ ઓછું થયું છે. સ્થાનિકોએ કહ્યું કે, એક સમયે ગામમાં બીમારીનો રાફડો ફાટ્યો હતો. કોરોનાની સાથે અન્ય બીમારીઓએ પણ માથું ઉંચક્યું હતું. જે આજે કાબુમાં છે.
આજે પણ ગામમાં લોકોએ જાતે જ બનાવેલા નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. આંબરડી ગામના લોકોએ સોશિયલ ડિસ્ટંસિંગ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગને જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં સ્થાન આપી દીધું છે. ગામના લોકોના દ્રઢ વિશ્વાસના કારણે આંબરડી ગામમાંથી કોરોનાને હાંકી કઢાયો છે. આમ, સ્વૈચ્છિક રીતે જાગૃત નાગરિકો કોરોનાને હરાવી શકે છે તે આંબરડી ગામે સાબિત કરી બતાવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કહીં ચુક્યા છે કે કોરોનાની સામે જંગ જીતવા માટે ગામડાઓએ જાગૃત થવું પડશે. ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મુખ્યમંત્રીના આ અનુરોધને આંબરડી ગામના લોકોએ સાર્થક બનાવ્યું છે અને બીજા ગામડાઓ માટે આ ગામ પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે. આંબરડી ગામ પાસેથી બીજા ગામડાઓએ પણ શીખ લઈ કોરોના સામેની લડાઈમાં પોતાનું સ્વૈચ્છિક યોગદાન આપવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત