Team Chabuk-Gujarat Desk: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે કામગીરી ચાલી રહી છે, તેની માહિતી પોતાના બ્લોગ દ્વારા જનતા સમક્ષ મુકી છે. રાજ્યમાં પ્રવાસન વિકાસના અનેકવિધ કાર્યો અને ખાસ કરીને કચ્છમાં બની રહેલા નેશનલ હાઈવે અને સરહદી વિસ્તારમાં NCCની પ્રવૃત્તિઓની વાત પણ આ બ્લોગમાં વણી લીધી છે.
મુખ્યમંત્રીનો બ્લોગ અક્ષરશ: નીચે મુજબ છે.
પ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગરવી ગુજરાત
નમસ્કાર.
મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી.
મેં આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ તથા પૌરાણિક સ્મૃતિઓના સંગ્રહસ્થાન એવા મ્યુઝિયમની મુલાકાત લીધી અને એ અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું. આવનારા દિવસોમાં ધોળાવીરા પર્યટકો માટેનું નવું નજરાણું બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખી સમયાનુકૂલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે. ધોળાવીરાની અંદાજે 5000 વર્ષ જૂની આ ધરોહરની વિશેષતાઓ અને સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તથા પ્રવાસીઓને મળી રહેલી માહિતી-સગવડમાં વધારો કરી ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
ધોળાવીરાની મુલાકાત દરમ્યાન ગઢુલી-સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કુલ 264 કિ.મી ની લંબાઈના આ નેશનલ હાઈવે નંબર 754 K ની ચાર લિંકમાં ગઢુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ તથા ખાવડાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 320 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ નેશનલ હાઈવે દ્વારા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે. ઉપરાંત ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર દરગાહ અને ખાવડાને પણ સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવીટી મળતી થશે. નેશનલ હાઈવે દ્વારા 100 જેટલી બોર્ડર આઉટપોસ્ટને પણ કનેક્ટિવીટીનો વ્યૂહાત્મક લાભ મળશે.
મિત્રો, કચ્છ અને બનાસકાંઠાના પાણીની કુદરતી અછત ધરાવતા સીમાક્ષેત્રો સુધી અને ત્યાંના સરહદના સંત્રી એવા જાંબાઝ જવાનો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ ગુજરાત સરકારે આદર્યો છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા દૂરંદેશી વિચારને અનુસરીને સરહદી વિસ્તારોમાં NCC નો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. NCC ની પ્રવૃત્તિઓ સરહદી યુવાશક્તિમાં દેશપ્રેમ, નિર્ભયતા અને શૌર્ય જેવા ગુણ ખીલવીને સરહદો પર દેશવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મારી કચ્છની આ મુલાકાત દરમ્યાન મને સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો અને અધિકારીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો. સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટે આ જવાનોની કર્તવ્યપરાયણતા સ્પર્શી જાય એવી છે. સૌ જવાનોને મારા વંદન!
આવનારા દિવસોમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અનેક નવા સ્થાન, ટુરિસ્ટ પોઈન્ટ તથા સર્કિટ ડેવલપ થવા જઈ રહી છે. ગુજરાતમાં અનેક સ્થાન ઐતિહાસિક તથા પ્રવાસનની દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશીપણાની નિશાની સમા “રણોત્સવ”ની જેમ ગુજરાતના અનેક સ્થાન વિશ્વ પ્રવાસન નકશામાં ચમકવા સક્ષમ છે. બનાસકાંઠાના નડાબેટની જેમ કચ્છના ધોરડોમાં બોર્ડર ટુરિઝમનો પણ વિકાસ થઈ રહ્યો છે.
મિત્રો, હવેના સમયમાં તમે ઐતિહાસિક સ્થાનો, પુરાતત્વીય સ્થાનો, બોર્ડર ટુરિઝમ જેવા પ્રવાસનના નવીન આયામો ગુજરાતમાં વિકસતા જોઈ શકશો. પ્રાકૃતિક અને માનવસર્જિત સૌંદર્ય ઉપરાંત વિવિધ સુવિધાઓથી સજ્જ આ પ્રવાસન સ્થળો સ્થાનિક ભાતીગળ સંસ્કૃતિને માણવાના પણ અનેક અવસર લઈને આવશે. રાજ્ય અને દેશના સહેલાણીઓ ઉપરાંત દુનિયાભરના પર્યટકો આપણા ગુજરાત તરફ આકર્ષાશે. આપ સૌ આપણા ગરવી ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થાનોની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. બાળકોને પણ આ સ્થળો અને તેના ઈતિહાસથી જરૂર માહિતગાર કરશો.
આપનો,
ભૂપેન્દ્ર પટેલ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
