Homeગુર્જર નગરીતકતી પરથી પડદો હટ્યો અને સરદાર પટેલ સ્ટેડિયમના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...

તકતી પરથી પડદો હટ્યો અને સરદાર પટેલ સ્ટેડિયમના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખેલું હતું

Team Chabuk Gujarat Desk: અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલી દેવાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહેમાનો આવ્યા તો હતા સરદાર પટેલ સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં પણ જ્યારે રાષ્ટ્રપતિએ તકતી પરથી પડદો હટાવ્યો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખેલું જોઈને સૌને આશ્ચર્ય થયું.

જો કે, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ રાખતા વિવાદ સર્જાયો છે. વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. અને સરદાર પટેલનું અપમાન ગણાવી રહ્યો છે.

સ્ટેડિયમના નામકરણ મુદ્દે ખુદ રાહુલ ગાંધી મેદાને આવ્યા છે અને સરકાર પર ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ સંદેશમાં લખ્યુ હતું કે, સત્ય કેટલી ખુબીથી સામે આવે છે. આ ઉપરાંત તેમણે અદાણી અંબાણી અને જય શાહનું પણ નામ લખ્યું હતું.

આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો, તેમણે ટ્વીટ સંદેશમાં લખ્યું હતું કે, આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે. ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસના સમયમાં સ્ટેડિયમનુ નામ સરદાર સાહેબ સાથે જોડાયું હતું તેમણે વધુમાં લખ્યુ છે કે, આ હરકતને ગુજરાત સહન નહીં કરે.

સમગ્ર મામલે વિવાદ સર્જાતા નીતિન પટેલ મેદાને આવ્યા હતા અને સમગ્ર મામલે કોંગ્રેસ પર જ વરસી પડ્યા હતા. નીતિન પટેલે આ મુદ્દે કહ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં અનેક નેતાઓને અપમાન કરાયું હતું. સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, આંબેડકરનું નામ કોંગ્રેસે ભૂસવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ યુવાનોને ભરમાવવાનો પ્રયાસ કર્યો છે.. દેશને આઝાદી નહેરુ પરિવારે જ અપાવી તેવું ઠસાવવા પ્રયાસ કર્યો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલ અને  બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન એવોર્ડ ન આપી મહાન નેતાઓનું અપમાન કર્યું.

સ્ટેડિયમ મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, સમગ્ર વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે મોટેરા સ્ટેડિયમના નામે ઓળખાતું હતું.  સ્ટેડિયમ બનાવવામાં ગૃહમત્રી અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ GCAએ રાખ્યું છે. સરદાર પટેલનું નામ પણ રમત-ગમત સાથે જોડવામાં આવ્યું છે. સરદાર પટેલ રમત-ગમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કરાયું છે. તમામ રમતો માટે વ્યવસ્થા કરવામાં આવશે. ભારત સરકાર પણ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં મદદ કરશે..નીતિન પટેલે કહ્યું કે, બે મહાન નેતાઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

સ્ટેડિયમનું નામ બદલાતા સોશિયલ મીડિયા પર પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ રમૂજી ટ્વીટ પણ કર્યા હતા. એક ટ્વીટર યુઝરે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટ્વીટર હેન્ડલને ટાંકીને લખ્યું હતું કે, ઈંગ્લેન્ડની ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં આવી હતી પરંતુ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર નીકળશે.

આવું છે સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ડેડિયમ છે. સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો એક સાથે મેચ જોઇ શકે છે. જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી વધારે છે. મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે. કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડિંગ બરાબર લાઈટ્સની ઉંચાઈ છે. આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે. વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે તેવી રીતે મેદાન બનાવાયું છે. ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ આ ગ્રાઉન્ડમાં યોજાઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments