Team Chabuk-Gujarat Desk: જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની સૂચના અનુસાર પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કામગીરી કરનાર ઈસમો સામે ગુનો નોંધી ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટા, માલવાહક રિક્ષા સહીત ૫૦૩ જેટલા બાટલા સાથે કુલ રૂ. ૮,૩૧,૫૩૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળેલ માહિતીના આધારે ઈન. જિલ્લા પુરવઠા અધિકારી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ એમ. ઝાલા તથા અમિતભાઈ પરમારની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કૃત્ય સામે દરોડો પાડી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં આવેલ દૂધસાગર રોડ ઉપર શેરબાનુ મસ્જિદની બાજુમાં આવેલ માજોઠીનગરના ખૂણે હાઇવે નજીક એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે મોટાપાયે ગેસ રીફીલિંગની કામગીરી થતી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ આ કામગીરી કરતો હોવાનું જણાયું હતું. મોટા સીલીન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી નાના નાના ગેસ સીલીન્ડર ગેરકાયદે ભરવામાં આવતા હતા. આ વંડાની નજીક જ મસ્જિદ આવેલી હોવાથી, લોકોની સતત અવરજવર રહેતી હોય છે. રહેણાંક વિસ્તારમાં અમુલ્ય માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જ અતિ જોખમી અને જવલનશીલ એવા એલ.પી.જી. ગેસ રીફીલિંગનું ગેરકાયદેસર રીતે બેદરકારીભર્યું કૃત્ય આચરી ગેસની ચોરી કરવા બદલ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ ૨૦૦૯ તથા ગેસ સીલીન્ડર રૂલ્સ ૨૦૦૪ તથા ૨૦૧૬ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરી ગુનો નોધવામાં આવ્યો હતો.
આ તપાસ દરમિયાન રાંધણગેસના ૨૧ કી.ગ્રા.ના ભરેલા ૨૪ બાટલા, ૫ કી.ગ્રા.નાં ૬૮ બાટલા, ૬ વજનકાંટા, ૦૬ ઇલેક્ટ્રિક મોટર, ૦૧ માલવાહક રીક્ષા, ૨૧ કી.ગ્રા.ના ૮૫ ખાલી બાટલા, ૧૯ કી.ગ્રા.નાં ખાલી ૨૬ બાટલા, ૫ કી.ગ્રા. નાં ૧૯૯ ખાલી બાટલા, ૧૦૧ ગેસના ખાલી બાટલાનો ભંગાર સહીત કુલ રૂ. ૮,૩૧,૫૩૨/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર વધુ કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત