Team Chabuk-Gujarat : રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ઉપરાંત યુજી તેમજ પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓની શાળા અને કોલેજમાં હાજરી ફરજિયાત નથી. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે, 11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે, આગામી ધોરણો શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે
હાજરીની ચિંતા ન કરતાં
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા અને કોલેજ શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવે છે તેમને વાલીઓની સંમતિ લેવી પડશે. જો વિદ્યાર્થીઓ શાળામાં આવવા નથી ઈચ્છતાં તેમના માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ ખુલ્લો જ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે કહ્યું હતું કે, શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે તેમણે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે.
આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
- શાળા-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
- થર્મલ ગન અને સાબુ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
- શાળાએ આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ લેવી પડશે.
- વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું.
- બે વિદ્યાર્થી વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે મુજબ બેઠક વ્યવસ્થા કરવી પડશે.
- શાળા-કોલેજ સંકૂલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન કરવું પડશે.
- સામૂહિક પ્રાર્થના, રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
- શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્કમાં પણ રહેવું પડશે.
- ભારત સરકારની SOPને અનુસરી શાળા-કોલેજોએ જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રાખવી પડશે.
- રાજ્યમાં આવેલી બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
પરીક્ષા તો લેવાશે જ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમની જ પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ