Homeગુર્જર નગરીસુરતઃ કોરોના વાઇરસની બીમારીના કારણે પિતા ગુમાવ્યા, 6 મહિના બાદ યુવાન પુત્રએ...

સુરતઃ કોરોના વાઇરસની બીમારીના કારણે પિતા ગુમાવ્યા, 6 મહિના બાદ યુવાન પુત્રએ આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં આત્મહત્યાનો સિલસિલો અકબંધ છે. થોડા દિવસથી સુરતમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આર્થિક સંકળામણ અને અન્ય કારણોસર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક સિવિલ એન્જિનિયરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોનાના કારણે 6 મહિના પહેલા પિતાના મૃત્યુ બાદ માનસિક તણાવમાં રહેતા પુત્રએ પણ મોત વ્હાલુ કરી લીધું છે.

સુરતના પાર્લે પોઈન્ટ ગોકુલ રો હાઉસમાં રહેતા સિવિલ એન્જિનિયર ઋષિતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર યુવકના પિતાનું 6 મહિના પહેલા કોરોના વાઇરસની બીમારીના કારણે મોત થયું હતું. પિતાના મૃત્યુ બાદ પુત્ર ભાંગી પડ્યો હતો અને પિતાના વિરહમાં માનસિક તણાવમાં આવી ગયો હતો. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નજીકના મિત્રોનું કહેવું છે કે ઋષિત લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે ઋષિતનું આ કામ બરાબર ચાલતું નહતું. જેથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આર્થિક ભીંસના કારણે મૃતક યુવાન માનસિક તણાવમાં રહેતો હોવાનું નજીકના મિત્રોએ જણાવ્યું હતું. ઋષિતની આત્મહત્યા અંગે પરિવાર કંઈ પણ બોલવા તૈયાર નથી.

ઉમરા પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં બુધવારે મોડી સાંજે એક ઋષિત ઝવેરી નામના યુવાનનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. યુવાને પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિવારની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ઋષિત સિવિલ એન્જિનિયર હતો અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. પરંતુ ઋષિતે ખરેખર ક્યા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

નજીકના મિત્રો કહી રહ્યા છે કે ઋષિત મહેનતુ અને પ્રામાણિક હતો. કોરોના મહામારીના કારણે તેનો કામ ધંધો પડી ભાગ્યો હતો. આર્થિક ભીંસમા હોવાના કારણે તે માનસિક તણાવ અનુભવતો હતો. એવામાં આજથી 6 મહિના પહેલા તેના પિતાનું કોરોના વાઇરસની બીમારીના કારણે મોત થયું હતું. જેથી ઋષિત વધુ માનસિક તણાવમાં આવી ગયો હતો. ગ્રુપના ઘણા મિત્રોએ તેને આર્થિક મદદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આમ અચાનક ઋષિત ઝવેરીએ આત્મહત્યા કરી લેતા પરિવારની સાથે તેના મિત્રો પણ શોકમાં ડૂબી ગયા છે. ઋષિતની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પોલીસ હાલ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments