Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વિશ્વ કપ પહેલાં મોટી જાહેરાત કરી છે. કોહલીએ ટ્વીટ સંદેશ દ્વારા માહિતી આપી છે કે, તે આગામી વર્લ્ડ કપ બાદ ટી-20ની કેપ્ટનશીપ છોડી દેશે. કોહલીએ એક ભાવુક પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. તેણે તમામ સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને BCCIને પણ ધન્યવાદ આપ્યા છે અને પોતાને નસીબદાર ગણાવ્યો છે.
સોશિયલ મીડિયા પર તેણે એક લાંબી પોસ્ટ લખી છે. આ સંદેશમાં કહ્યું છે કે, મારી યાત્રામાં કેપ્ટન તરીકે જે લોકોએ મારું સમર્થન કર્યું તે તમામનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છુ. વિરાટે આગળ લખ્યું છે કે, રમતમાં વર્કલોડ એક મોટી ભૂમિકા ભજવે છે. પાછલા 8-9 વર્ષમાં ત્રણે ફોર્મેટમાં દબાવ બહું વધ્યો છે એટલું જ નહીં છેલ્લા 5-6 વર્ષમાં ત્રણે ફોર્મેટમાં સતત કેપ્ટનશીપ કરી રહ્યો છુ તો મને લાગે છે કે હું ટેસ્ટ અને વન-ડે ફોર્મેટમાં સંપૂર્ણ રીતે તૈયાર રહું. ટી-20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે મે એ તમામ પ્રયોગ કર્યા જે કરવા જોઈતા હતા આગળ પણ બેટ્સમેન તરીકે મારું યોગદાન આપતો રહીશ. આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ તમામ સાથે ચર્ચા-વિચારણાં કર્યા બાદ મે આ નિર્ણય લીધો છે.
કોહલીએ પોતાના નિર્ણય અંગે કોચ રવિ શાસ્ત્રી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે વાતચીતનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, મે રવિભાઈ અને રોહિત જે નેતૃત્વ સમૂહનો એક અનિવાર્ય હિસ્સો છે તેમની સાથે આ મુદ્દે બહુ ગહન ચર્ચા કર્યા બાદ તે ઓક્ટોબરમાં દુબઈમાં વિશ્વ કપ બાદ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.
કેપ્ટન કોહલીએ આગળ લખ્યું છે કે, મે એક જ સમયે તમામ પસંદગીકારો સાથે BCCIના સચિવ જય શાહ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે પણ વાત કરી છે. હું ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમની સંપૂર્ણ ક્ષમતા સાથે સેવા કરવાનું યથાવત રાખીશ.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
છેલ્લા કેટલાય સમયથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ વિવાદોમાં રહી છે. જ્યારે ટીમ ટી-20 મેચ હારે ત્યારે તેને ટીમ ઈન્ડિયાના સમર્થકોની નારાજગીનો સામનો કરવો પડતો હોય છે. બીજી તરફ કેપ્ટનશીપના દબાવના કારણે તેની બેટિંગ પર પણ અસર જોવા મળી છે. જે વાત વિરાટે પોતે પણ સ્વીકારી છે. ટી-20માં વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ કુલ 45 ટી-20 મેચ રમી છે જેમાંથી 27 મેચ જીતી છે જ્યારે 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 2 મેચ ડ્રો અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
વિરાટ કોહલીની આ જાહેરાત બાદ ટી-20 વિશ્વ કપ બાદ રોહિત શર્માના હાથમાં ટીમની કમાન સોંપાઈ શકે છે. રોહિત શર્મા પહેલાં પણ ટી-20 અને વન-ડેમાં ભારતીય ટીમનો કેપ્ટન રહી ચુકયો છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે IPLમાં પણ રોહિત શર્માએ જે પ્રદર્શન કર્યું છે તે પણ ઉડીને આંખે વળગે તેવું છે. ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને એક સફળ કેપ્ટન માનવામાં આવે છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને તેની કેપ્ટનશીપ હેઠળ 5 એવોર્ડ અપાવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્મા એક એવો કેપ્ટન છે જેણે ટી-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હોય. તેના પરથી એવું પણ અનુમાન લગાવી શકાય કે તેની રમતમાં કેપ્ટનશીપની જવાબદારી બહું અસર કરતી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત