Team Chabuk-Gujarat Desk: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે એક અનોખી બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યને ટ્રસ્ટીઓએ કાઢી મૂકતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફાટી નીકળી હતી અને વિદ્યાર્થીઓ-વાલીઓ આચાર્યના સમર્થનમાં ઉતરી ગયા હતા.
વિદ્યાર્થીઓનો રોષ જોઇને ટ્રસ્ટી મંડળ દ્વારા આચાર્ય સાથે વાતચીતનો દોર શરુ કરી દેવાયો હતો. શાળામાં થયેલા ભારે હોબાળાના કારણે પોલીસ પણ બોલાવવી પડી હતી. આચાર્ય સહિત શાળાના 18 શિક્ષકોએ રાજીનામા આપી દીધા હતા.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ પાસે શાળા સંચાલકો દ્વારા રાજીનામુ લખાવી લેવાયું હતું. જેના આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આચાર્યને કાઢી મૂકાયા હોવાની જાણ થતાં જ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ આચાર્યના સમર્થનમાં શાળાની બહાર ધસી આવ્યા હતા અને રસ્તા પર ઉભા રહી રોષ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ JEE અને NEET માટે એક ફાઉન્ડેશન બનાવવાની વાત ટ્રસ્ટી મંડળે રજૂ કરી હતી. જો કે આચાર્યએ ફાઉન્ડેશન બનાવાનો વિરોધ કર્યો હતો. બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે આચાર્ય દ્વારા ફાઉન્ડેશન ના બનાવવાની તરફેણ કરાઇ હતી, જે ટ્રસ્ટી મંડળને પસંદ આવ્યું ન હતું. આચાર્યથી નારાજ થયેલા શાળા સંચાલકોએ આચાર્ય પાસેથી રાજીનામુ લખાવી દીધું હતું.
આચાર્યને પાણીચું પકડાવી દેવાયું હોવાની વાત વિદ્યાર્થીઓમાં ફેલાઇ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને વિદ્યાર્થીઓએ શાળામાં ધસી આવીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર છે અને અમને જીગ્નેશ સર જોઇએ. તેમની ભણવાની પદ્ધતિ અને તેમનું ડિસીપ્લીન જોઇએ છે. ફાઉન્ડેશન વિશે તેમનો અલગ વિચાર હતો અને જીગ્નેશ સરે અમને સમજાવ્યા. શાળા સંચાલકોએ આ લોકોને કેમ મજબૂર કરો છો તેમ કહી તેમને રાજીનામું આપવા જણાવ્યું હતું. જીગ્નેશ સર વિદ્યાર્થીઓના હિતમાં સમજાવતા હતા. તમામ વિદ્યાર્થીઓ આચાર્યના સમર્થનમાં છે.
વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવતા આખરે પોલીસને પણ બોલાવાની ફરજ પડી હતી. પોલીસે સ્થળ પર ધસી આવી મામલો થાળે પાડયો હતો. આખરે આચાર્ય સાથે ટ્રસ્ટી મંડળે વાતચીત શરુ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત