Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના સંકટની વચ્ચે ભલે રાત્રિ કર્ફ્યૂ જ લગાવવામાં આવ્યું હોય લોકડાઉન નહીં, પણ વધી રહેલા કેસે સરકારની સાથે સાથે જનતાની ચિંતામાં વધારો કર્યો છે. સરકાર કેસને નિયંત્રણ કરવાની દિશામાં પગલું લેતા ક્યાંય લોકડાઉન ન લગાવી દે આ ભયના ઓથાર તળે જીવતા કેટલાક લોકો અત્યારથી જ પલાયન કરવા લાગી ગયા છે. કારણ કે ગત વખતે ખરાબ સ્થિતિ થઈ હતી. પરપ્રાંતિય મજૂરો ફસાઈ ગયા હતા. લોકડાઉનની અફવા અને કોરોનાના વધતા કેસને લઈને સુરતમાંથી કેટલાય લોકોએ પોતાના વતનની તરફ વાટ પકડી છે. ગત ત્રણ દિવસોમાં 15 હજાર કરતા વધારે લોકો પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે.
રેલવે પ્રવાસમાં કડક નિયમો હોવાથી બસમાં મુસાફરી કરવાનું ચલણ વધ્યું છે. રોજની સોથી વધારે બસો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં જઈ રહી છે. ગુજરાતમાં રહેનારા શ્રમિક પરિવારો વધુ એક વખત પોતાનું ઘર છોડી જઈ રહ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જેની ગણના થાય છે એ પાંડેસરામાંથી રોજ હજ્જારોની સંખ્યામાં લોકો પોતાના વતન તરફ ગતિ કરી રહ્યા છે.
સુરતમાં ગત ત્રીસ વર્ષોથી કમાણી કરી પરિવારનું પેટ ભરતા નઝીર શેખ પોતાના પરિવારની સાથે ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે. નઝીરે આ અંગે કહ્યું છે કે, એક મહિનાથી ધંધા રોજગાર બંધ છે અને ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. રોજ કોઈને કોઈ એવી વાત સામે આવે છે જેનાથી ભય લાગે છે કે સરકાર લોકડાઉન લગાવી દેશે. શહેરમાં રોજ કોરોનાથી મોત થઈ રહ્યા છે. ડરની સ્થિતિ છે એવામાં હું મારા ઘરે જઈ રહ્યો છું.
નઝીર શેખની માફક જ અન્ય મજૂરો પણ પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. પ્રશાસને કોરોના સંક્રમણને નાથવા માટે પહેલા બાર, બાદમાં દસ, એ પછી નવ અને હવે સરકારના આદેશના આધારે 8 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લાગી જાય છે.
કોરોનાના કારણે રોજ એક નવો નિયમ સામે આવી જાય છે. કોરોનાનો કહેર સુરત શહેરમાં એટલો છે કે હોસ્પિટલોમાં ખાલી બેડ નથી. એમ્બ્યુલન્સો નિયત સમય પર પહોંચી શકતી નથી, કારણ કે કેસનો રાફડો ફાટ્યો છે. હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડ પણ નથી રહ્યા. આ ડરની વચ્ચે જીવી રહેલા લોકોને લાગી રહ્યું છે કે ક્યાંક પુન: લોકડાઉન ન લાગી જાય. જેથી તેઓ અત્યારથી જ શહેરને છોડી રહ્યા છે.
સુરતના પાંડેસરા, ગોડાદરા, કડોદરા જેવા અસંખ્ય વિસ્તારોમાં રોજની આશરે 100 બસ ચલાવવામાં આવે છે. આ બસ મુખ્યત્વે જૌનપૂર, પ્રતાપગઢ, વારાણસી, બાંદા, ગોરખપૂર, બલિયા સહિત બિહાર અને ઝારખંડના તમામ જિલ્લાઓ માટે ચાલી રહી છે.
એક બસમાં 80થી 90 યાત્રીઓ જઈ રહ્યા છે. બસ દ્વારા જ ગુજરાતમાંથી 20 હજાર લોકો વતન જઈ ચૂક્યા છે. વધતી વેઈટિંગની સ્થિતિને જોતા પશ્ચિમ રેલવેએ બોર્ડ પાસેથી યૂપી-બિહાર અને ઝારખંડની નવી ટ્રેનો માગી છે. જે પછી સુરત, ઉધના અને બાંદ્રાથી અસંખ્ય ટ્રેન શરૂ થઈ છે.
સ્થિતિ એ છે કે ટ્રેનોની બુકિંગ ખુલતા જ માત્ર 15 મિનિટમાં બુકિંગ પેક થઈ જાય છે. સુરતમાં તાપી ગંગા એક્સપ્રેસ, ઉધના-દાનાપુર એક્સપ્રેસ, મહામના એક્સપ્રેસ સાથે જ બાંદ્રાથી ગોરખપૂર અને બરોની , સૂબેદારગંજ માટે ચાલતી ટ્રેનોમાં પાંચ હજારથી વધારે લોકો રોજ જઈ રહ્યા છે. ચાર દિવસોમાં 15,000થી વધારે લોકો ટ્રેન મારફતે જઈ ચૂક્યા છે. સ્પષ્ટ છે કે લોકોમાં કોરોના અને લોકડાઉન બંનેનો ભય છે. કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને લોકડાઉનનો તેમને ભય લાગી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત