Homeગુર્જર નગરીગુનેગારો પર સખતમાં સખત પગલાં લો, પરંતુ નાગરિકો સાથે વર્તન સૌજન્યસભર રહેવું...

ગુનેગારો પર સખતમાં સખત પગલાં લો, પરંતુ નાગરિકો સાથે વર્તન સૌજન્યસભર રહેવું જોઈએ: હર્ષ સંઘવી

Team Chabuk-Gujarat Desk: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સોસાયટીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતા સી.સી.ટીવી કેમેરા નેટવર્કમાં ઉચ્ચ ગુણવત્તા જળવાય તે માટે પ્રોત્સાહક સુચારૂ નીતિ ઘડવા માંગે છે. તેમણે આ બાબતમાં વડોદરા શહેર પોલીસ અનુભવ આધારિત નક્કર સૂચનો આપે તેવો અનુરોધ કર્યો છે. તેમણે શહેર પોલીસકર્મીઓના આરોગ્યની રક્ષા માટે શહેર પોલીસની પહેલો ની વિગતવાર જાણકારી મેળવી હતી અને બિરદાવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભવન ખાતે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે શહેર પોલીસની વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ કામગીરીની જાણકારી મેળવી હતી. તેમણે સાંસદ, મેયર અને ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત બેઠકમાં લોક પ્રતિનિધિઓ ની નિસ્બતની બાબતો અને સૂચનો મેળવ્યા હતા.તથા પોલીસ ઉચ્ચ અધિકારીઓને લોક પ્રતિનિધિઓના સૂચનોનો વિધેયાત્મક પ્રતિભાવ આપવા અનુરોધ કર્યો હતો.

પોલીસ તંત્રમાં કોન્સ્ટેબ્યુલરીના સ્તરે સમુચિત કાઉન્સેલિંગ પર ભાર મૂક્યો હતો. ગુનેગારો પર સખતમાં સખત પગલાં લો પરંતુ નાગરિકો સાથે વર્તન સૌજન્યસભર રહેવું જોઈએ તેવો ખાસ અનુરોધ કર્યો હતો. સામાજિક સંવાદિતા જાળવવામાં પોલીસ નિર્ણાયક ભૂમિકા ભજવે અને પોલિસીંગ સંવેદનાસભર રહે એની અગત્યતા તેમણે સમજાવી હતી. તેમણે ગુમશુદા બાળકો, મહિલાઓ અને પુરુષોની શોધની ઝડપ વધારવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ કામમાં શી ટીમની વિધેયાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ગૃહ મંત્રીએ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની ઉપયોગિતા રસપૂર્વક જાણી હતી અને પોલીસ જવાનો માટે જીમની પહેલને આવકાર્ય ગણાવી હતી. તેમણે શહેર પોલીસ ના મહેકમની પરિસ્થિત અને ખાલી જગ્યાઓ અંગે જાણકારી મેળવવાની સાથે ખાલી જગ્યાઓ શક્ય તેટલી ભરાય તેનો સધિયારો આપ્યો હતો. પોલીસ આવાસ નિગમને લગતી બાબતોની ચર્ચા કરવાની સાથે ધારાસભ્ય દ્વારા નવા પોલીસ મથકની માંગણીઓ, પોલીસ મથક માટે જંત્રીના રેટથી જમીન સત્વરે ફાળવી શકાય તે માટે નવો જી.આર. ઇત્યાદિની જાણકારી સહુને આપી હતી. ગૃહ રાજ્યમંત્રી એ ડ્રગ્સ ના દૂષણ, રખડતા ઢોર અને ભિક્ષુક ધારાના અમલની બાબતમાં રાજનૈતિક, સામાજિક અને પોલીસ દ્વારા સમંવિત મુહિમ ચલાવવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં અશાંત ધારાના અમલ સહિતની બાબતો પર લોક પ્રતિનિધિઓના સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની ચર્ચામાં સાંસદ રંજનબેન, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય જીતુભાઇ, યોગેશભાઈ, સીમાબેન, શૈલેષભાઈ મહેતા, ભાર્ગવભાઈ ભટ્ટ, ડો.વિજય શાહ, સુનિલભાઈ સોલંકી અને અલ્પેશભાઈ લિંબચિયા એ ભાગ લઈને વિવિધ સૂચનો કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments