Team Chabuk-Gujarat Desk: તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓની આખરે જીત થઈ છે અને સરકારે પીછેહઠ કરવી પડી છે. આદિવાસીઓના ભારે વિરોધ બાદ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને આખરે રાજ્ય સરકારે કાયમી ધોરણે રદ કરી દીધો છે. અગાઉ આ પ્રોજેક્ટને 28 માર્ચે સ્થગિત કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. જો કે હવે આ પ્રોજેક્ટને સરકારે સંપૂર્ણ ધોરણે રદ જ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં આ અંગે પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં નાણામંત્રીએ અનેક યોજના જાહેર કરી હતી જેમાં દમણગંગા નર્મદા પાર તાપી રિવર લિંક યોજના જાહેર કરવામાં આવી હતી. આદિવાસીના હિતને ધ્યાનમાં રાખી યોજના જાહેર કરાઇ હતી પણ કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી અને યોજના હિતમાં નથી તેનો અપપ્રચાર કર્યો હતો જેથી યોજનાનો વિરોધ કરાયો હતો. આદિવાસીના હિત માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાના અમલમાં મૂ0કી છે. આ યોજનામાં ઉભી કરાયેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે. કેન્દ્ર કોઈ પણ યોજના જાહેર કરે ત્યારે રાજ્ય સરકારની મંજુરી બાદ આગળ વધે છે. આ યોજનામાં રાજ્ય સરકારે આ યોજનાને મંજુરી આપી નથી અને નિર્ણય કર્યો છે કે આ યોજના આગળ નહીં વધે.
તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટની કલ્પના ભૂતપૂર્વ કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ 1980ની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખાધવાળા વિસ્તારોમાં સ્થાળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરે છે. પાર, મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે. તાપી સાપુતારાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતમાંથી વહે છે. નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે.
તાપી પાર નર્મદા લિંક યોજના હેઠળ દેશના 2 રાજ્યોમાં 6 ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં 4 ડેમ અને મહારાષ્ટ્રમાં 2 ડેમ તૈયાર કરવાના હતા. જેમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં ચિકાર ડેમનું નિર્માણ થવાથી નવ ગામના લગભગ 1300 પરિવારના 7, 800 જેટલા લોકોને વિસ્થાપિત થવાનું અનુમાન હતું. આ ઉપરાંત ચાસ-માંડવા ડેમ જે ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડેમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજારથી વધુ પરિવારના લગભગ 9,700 લોકો વિસ્થાપિત થઇ શકે છે. દાબદર ડેમ જે ડાંગ જિલ્લામાં બનનારા આ ડેમના પગલે ગામમાં 11 ગામના એક હજારથી વધુ પરિવાર તથા લગભગ 10, 660 લોકોને વિસ્થાપિત થવાનું અનુમાન હતું. કેળવણ ડેમ જેના કારણે ડાંગ જિલ્લામાં બે હજારથી વધુ પરિવારના લગભગ 12 હજાર લોકોને વિસ્થાપિત થવાની શક્યતા હતી. ઝરી ડેમ જે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જવાનું અનુમાન હતું. એક અનુમાન પ્રમાણે, આ બનવાથી એક હજારથી વધુ પરિવારના 5,733 લોકોને વિસ્થાપિત થવું પડેત. પૈખેડ ડેમ જે મહારાષ્ટ્રમાં નિર્માણ કરવાનું હતું. આ ડેમમાં 11 ગામડાંના પણ એક હજારથી પણ વધુ પરિવારના 7,360 લોકોને વિસ્થાપિત કરવાનું અનુમાન હતુ. જો કે સંપૂર્ણ પ્રોજેક્ટ રદ કરી દેવાતાં આ પરિવારોની મોટી જીત થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત