Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન, ઉત્કૃષ્ટ ખેલાડી અને નેશનલ ક્રિકેટ અકેડેમીના ડાયરેક્ટર રાહુલ દ્રવિડ ભારતના આગામી કોચ બનશે. જેની પુષ્ટી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સી મારફતે કરી છે. જાણકારી પ્રમાણે, દ્રવિડ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે વાતચીત કર્યા બાદ ટીમ ઈન્ડિયામાં કોચની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેમની વચ્ચે આ વાતચીત શુક્રવારના રોજ આઈપીએલ ફાઈનલ દરમ્યાન થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્રવિડને આ પદ માટે દસ કરોડની રકમ ઓફર કરવામાં આવી છે. સાથે જ બોનસ પણ મળશે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો પગાર 8.5 કરોડ રૂપિયા હતો. દ્રવિડ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાનારા ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ પદ સંભાળશે. દ્રવિડનો આ કાર્યકાળ બે વર્ષનો રહેશે. ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જશે. 17 નવેમ્બરથી બંને ટીમોની વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. દ્રવિડ આ પહેલા ઈન્ડિયા-એ અને અંડર-19ની ટીમને કોચિંગ આપી ચૂક્યા છે.

ટીમ ઈન્ડિયાના કોચ દ્રવિડ બનશે તેની સૂત્રોના આધારે મળતી માહિતી બાદ હવે અન્ય કોચની પસંદગી કરવામાં આવશે. વર્તમાન સમયે બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહેલા વિક્રમ રાઠોડ પદ પર કાયમ રહેશે. પારસ મ્હામબ્રે બોલિંગ કોચ બનશે. તેઓ વર્તમાન બોલિંગ કોચ ભરત અરુણનું સ્થાન લેશે. ફિલ્ડીંગ કોચ આર.શ્રીધરના રિપ્લેસમેન્ટ તરીકે કોણ, તેનો હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતીય ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે યુવા ખેલાડીઓ આ પહેલા પણ દ્રવિડની સાથે કામ કરી ચૂક્યા છે. જેથી ભારતીય ક્રિકેટ ટીમને પણ સરળતા રહેશે અને ટીમ ચેમ્પિયન બનવાની દિશામાં અગ્રેસર રહેશે. દ્રવિડ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતની બી ટીમના કોચ પદે હતા. જેનું નેતૃત્વ શિખર ધવને કર્યું હતું.

ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ભારતના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. વિરાટ કોહલી પણ ટી ટ્વેન્ટીની કેપ્ટનશિપ છોડશે. જેનું એલાન તે પહેલા જ કરી ચૂક્યો છે. જેથી ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ટીમને નવો ટી ટ્વેન્ટી કેપ્ટન મળશે. ટીમ તેના વિકલ્પની પણ શોધમાં છે.

વર્તમાન કોચ રવિ શાસ્ત્રીની જો વાત કરવામાં આવે તો, 2017માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. જુલાઈ 2017 બાદથી 43 ટેસ્ટ, 72 વનડે અને 60 ટી ટ્વેન્ટી મેચ તેમના કોચ તરીકેના સુકાનપદે રમ્યા હતા. 43 ટેસ્ટમાંથી ભારતે 25માં વિજય પ્રાપ્ત કર્યો હતો, 72 વનડેમાંથી 51 વનડેમાં અને ટી ટ્વેન્ટીમાં 60માંથી 40માં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય ટીમની ખાસ ઉપલબ્ધિ એ રહી કે તેણે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. 2019નો વિશ્વકપમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, તો ટીમ વર્લ્ડ ટેસ્ટ શ્રેણીની ફાઈનલ સુધી પહોંચી હતી, જ્યાં ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ટીમનો પરાજય થયો હતો. આ સમયે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘મોટી વસ્તુઓ આસાનીથી હાથમાં નથી આવતી તે આ વાતનું ઉદાહરણ છે.’ હવે શાસ્ત્રીની નજર ટીમને ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતાડવા તરફ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત