Team Chabuk-Gujarat Desk: હાલના સમયમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો બજારમાંથી વસ્તુઓ ખરીદવાની જગ્યાએ ઇ-કોમર્સ વેબસાઈટ પરથી ઘરે બેઠાં વસ્તુઓ મંગાવી રહ્યા છે. બજાર કરતાં સસ્તા ભાવે વેચતી ઇ-કોમર્સ કંપનીઓનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. પરંતુ ઘણી વખત લોકોને આવી કંપનીઓના કડવા અનુભવો થયાના પણ બનાવો બન્યા છે. ઘણી વખત ઓનલાઈન દેખાતી વસ્તુ હકીકતમાં હાથમાં આવે ત્યારે કંઈક બીજું જ નીકળતું હોય છે. અનેક વખત આવી ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે તાજેતરમાં મોરબીના એક યુવાનને એમેઝોનનો કડવો અનુભવ થયો છે.
મોરબીના એક શિક્ષણ યુવાને ઇલેક્ટ્રોનિક ગેઝેટ માટે એમેઝોનમાં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેનું પેમેન્ટ પણ ઓનલાઈન કરી દીધું હતું. પરંતુ જ્યારે આ યુવાનને એમેઝોન તરફથી પાર્સલ મળ્યું અને ખોલ્યું તો તેમાંથી કાચની 3 બરણી નીકળી હતી. આ અંગે યુવાને એમેઝોન કંપનીને જાણ કરીને રૂપિયા પરત આપવા માગ કરી હતી પરંતુ કંપનીએ રૂપિયા પરત આપવાની ના પાડી હતી.
મોરબીમાં રહેતા શિક્ષક યુવાન વિરેન પટેલે બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તે માટે એક ડિજીટલ પેનટેક ઓનલાઈન એમેઝોનમાંથી મંગાવ્યું હતું. યુવાને એમેઝોન કંપનીને આ ડિજીટલ પેનટેકનું પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હતું. આ પેનટેકની ડિલીવરી તેઓને ગત 10 મેના રોજ મળી હતી. તેમણે પાર્સલ ખોલ્યું તો તેઓ ચોંકી ગયા હતા. કેમ કે પાર્સલમાં ડિજીટલ પેનટેકની જગ્યાએ કાચની ત્રણ બરણી નીકળી હતી.
વિરેન પટેલે જણાવ્યું કે તેમણે આ ડિજીટલ પેનટેક માટે 6300 રૂપિયા એમેઝોન કંપનીને ચૂકવ્યા હતા. પરંતુ છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેમણે કંપનીમાં ફોન કરીને રૂપિયા પરત આપવા માટે કહ્યું હતું. પરંતુ તેઓને કંપની તરફથી જવાબ મળ્યો હતો કે અમારું પાર્સલ વ્યવસ્થિત જ હતું અમે ચેક કરીને જ પાર્સલ મોકલીએ છીએ તેથી તમને રિપ્લેસમેન્ટ કે રિફંડ નહીં આપી શકીએ. આવો ઉડાઉ જવાબ એમેઝોન તરફથી મળતાં મોરબીનો યુવાનને મળ્યો હતો. જેથી યુવાને હવે એમેઝોન કંપની સામે લડી લેવાની તૈયારી દર્શાવી છે. આ પ્રકારે છેતરપિંડી થતાં મોરબીના યુવાને ગ્રાહક અદાલતનો દરવાજો ખખડાવવાની પણ તૈયારી કરી છે.
આવી રીતે અગાઉ પણ અનેક લોકો સાથે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા છેતરપિંડી કર્યાની ફરિયાદો કરવામાં આવી છે. ઓનલાઈન વસ્તુઓ મંગાવવાની ચક્કરમાં અનેક લોકો ઠગાઈનો ભોગ બને છે. બાદમાં ફરિયાદ કરાતાં કંપનીઓ હાથ ઉંચા કરી દેતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત