Homeગુર્જર નગરીધરમપુરમાં આદિવાસી સમાજમાં આક્રોશઃ સરકારના પ્રોજેક્ટના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ધરમપુરમાં આદિવાસી સમાજમાં આક્રોશઃ સરકારના પ્રોજેક્ટના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

Team Chabuk-Gujarat Desk: વલસાડના ધરમપુરમાં આજ રોજ ડેમના વિરોધમાં જંગી સભા અને વિશાળ રેલી યોજાઈ હતી. ધરમપુરમાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આ સભા અને રેલીનું આયોજન કરાયું હતું. રેલી અને સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર સહિત અને રાજકીય-સામાજિક આગેવોનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરના આસુરા ચોકડી પર એક વિશાળ જન સભા મળી હતી.. જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ દ્વારા રેલીમાં જતા લોકોને અટકાવવા કોશિશ કરાઈ હતી પરંતુ પોલીસ સાથે લોકોની ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે રેલી યોજવા દીધી હતી.

કેમ થઈ રહ્યો છે પ્રોજેક્ટનો વિરોધ

સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો આદિવસી સમાજ અને સામાજિક અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાના કારણની વાત કરીએ તો, લોકોના અને સંગઠનનોના મતે સરકાર પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર નદી પર આવેલા ચાસમાંડવા ગામ નજીક એક ડેમ બનાવવામાં આવી શકે છે. જો આ ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે. જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી રહ્યા છે.

સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવઃ અનંત પટેલ

ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે એક તરફ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે.. તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે.. આથી અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને આડે હાથ લીધા હતા.

હજારો લોકો રસ્તા પર ઉતર્યા

આજે આ પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ધરમપુરના જાહેર માર્ગો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મામલે આજે મામલતદારને આવેદન આપીને પ્રોજેક્ટનો વિરોધ કરાયો હતો. આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો તેના ગંભીર પરિણામો આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments