Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાંથી ચોમાસુ હજુ પણ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. થોડા દિવસના વિરામ બાદ શનિવાર અને રવિવારે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદ દરમિયાન સૌરાષ્ટ્ર પંથકના શિશાંગ અને ચુડામાં વીજળી પડતાં બે લોકોના મોત નિપજ્યા છે. તો શિવરાજપુરમાં બે પશુના મોત થયાનું સામે આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડતાં નદી-નાળાં છલકાય ગયા હતા. કોડીનાર તાલુકામાં પણ 19 મીમી, પ્રભાસ પાટણમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. તો કેશોદમાં અડધો ઈંચ, જૂનાગઢમાં એક ઈંચ અને ઊનામાં ધોધમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
વરસાદની સાથે આકાશી વિજળી પડતાં શીશાંગ અને ચુડામાં બે વ્યક્તિના મોત થયા છે. કાલાવડ તાલુકાના શીશાંગ ગામે ખેતરેથી પાછા ફરી રહેલા રવિરાજસિંહ ઉદુભા જાડેજા (ઉ.વ.32) નામના યુવાન પર મોડી રાતે અચાનક વીજળી પડતા તેઓને તાત્કાલિક કાલાવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજી તરફ ભેંસાણ તાલુકાનાં ચુડા ગામમાં રહેતા મકન્યા દડીભાઇ બારેલા(ઉ.વ.51) ખેતી કામ કરતા હતાં ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે શિવરાજપુર ગામે આવેલા ડોળા વિસ્તારમાં ચરતાં પશુ પર વીજળી પડતા બે પશુના મોત થયા હતા. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોએ ઉપાડેલી માંડવીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત કપાસ અને તલના પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
જસદણ શહેર અને પંથકના આટકોટ, ગઢડીયા, શિવરાજપુર સહિતના ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે અને જોરદાર પવન સાથે અડધો કલાક સુધી વરસાદ પડતાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જસદણમાં ધોધમાર વરસાદ પડતાં આટકોટ રોડ પરના વિસ્તારોમાં ચાર કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત