Team Chabuk Gujarat desk: વડોદરાના સોની પરિવારની સામૂહિક આત્મહત્યા મુદ્દે હવે નવો જ વળાંક આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જે રાજસ્થાનનો જ્યોતિષી મૃત હોવાનું જાણવા મળ્યું હતું તે જ્યોતિષી તો જીવતો જ પોલીસના સકંજામાં આવી ગયો છે. પોતાને મૃત જાહેર કરનારા જ્યોતિષી ઉપરાંત અન્ય એક જ્યોતિષી સુધી પણ પોલીસના હાથ પહોંચી ગયા છે. હવે બંને જ્યોતિષીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
કેવી રીતે ઝડપાયો ઠગ ?
સમા પોલીસને બાતમી મળી હતી કે સોની પરિવાર સાથે છેતરપિંડી કરનારા નવ જ્યોતિષી રાજસ્થાનમાં છે. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ લોકેશન ઉપરાંત પોતાના સોર્સના આધારે વધુ વિગતો મેળવી હતી. જેમાં બે જ્યોતિષીના નામ ખુલ્યા હતા.
1. ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવ
અને
2. સીતારામ ઉર્ફે સાહિલ
ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવનું નામ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ એ જ જ્યોતિષી છે જેણે સોની પરિવાર પાસેથી રૂપિયા લઈને પોતાને મૃત જાહેર કરી દીધો હતો.
સોની પરિવારના સભ્ય ભાવિન સોનીએ મૃત્યુ પહેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રાજસ્થાનના પુષ્કર ગયા હતા ત્યારે તેઓ એક જ્યોતિષીના સંપર્કમાં આવ્યા હતા. જેણે આર્થિક તંગી દૂર કરી દેવાનો દાવો કરી 4 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં જ્યારે તે વિધિ કરવા વડોદરા આવતો હતો ત્યારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. જો કે, પોલીસ તપાસમાં આ ઠગ જ્યોતિષીની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યોતિષી જીવતો મળી આવતા સમાજ સામે ખુલ્લો પડી ગયો છે. હવે પોલીસ તપાસમાં સામે આવશે તેણે આવું શા માટે કર્યું અને અન્ય કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે.
પોલીસ પકડમાં આવેલો અન્ય જ્યોતિષી સીતારામ ઉર્ફે સાહિલ છે. આ જ્યોતિષી એ જ છે જેણે વડોદરા આવીને સોની પરિવારના ઘરમાંથી ચાંદીના સિક્કા કાઢી આપ્યા હતા અને એ સિક્કા સોની પરિવારને આપવાની જગ્યાએ વધુ લાલચ આપી પોતાની સાથે જ લઈ ગયો હતો. હવે આ જ્યોતિષી પર પણ કાયદાનો ગાળિયો કસાવાનો છે.
પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે, ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવ આ કેસના મુખ્ય આરોપી હેમંત જોશીનો સાળો અથવા બનેવી થાય છે. એટલે બની શકે કે આ બંને એ જ સોની પરિવારને લૂંટવાનું સમગ્ર કાવતરું રચ્યુ હોઈ શકે છે. આ બંને ઠગબાજે અન્ય જ્યોતિષીઓનો સંપર્ક પણ કર્યો હોઈ શકે છે અને ઘરમાંથી ખજાનો કાઢવાનું ખોટું તરકટ પણ રચ્યું હોઈ શકે છે. પોલીસની વધુ તપાસમાં આ તમામ સવાલોના જવાબ પણ મળી જશે.
હાલ પોલીસે અન્ય આરોપી જ્યોતિષીની શોધખોળ શરૂ કરી છે. હજુ કુલ 7 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સામૂહિક આત્મહત્યા કેસમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક હજુ સારવાર હેઠળ છે.
ક્યા જ્યોતિષી પર કેટલા રૂપિયા લેવાનનો આરોપ ?
| હેમંત જોષી, વડોદરા | 35,000 |
| સ્વરાજ જોષી, અમદાવાદ | 13,50,000 |
| પ્રહલાદ જોષી, અમદાવાદ | 2,00,000 |
| સમીર જોષી, રાણીપ-અમદાવાદ | 5,00,000 |
| ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવ | 4,00,000 |
| સાહિલ વ્હોરા, વડોદરા | 3,50,000 |
| વિજય જોષી, અમદાવાદ | 4,00,000 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત