Team Chabuk-Sports Desk: ભારતીય ટીમમાં મતભેદ પ્રવર્તી રહ્યો હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી અને ટીમના કેટલાક ખેલાડીઓની વચ્ચે સુમેળભર્યાં સંબંધો નથી રહ્યા. જે માટે મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર બનાવવામાં આવ્યો છે.

ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા અહેવાલ મુજબ, ધોનીને માત્ર મેન્ટર તરીકે નહીં પણ ટીમને એકજૂટ રાખવા માટે પણ પરત લાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં મતભેદો વધી ગયા છે. બીસીસીઆઈ માટે આ સંભાળવું આકરું થઈ પડ્યું છે. તેમને ચિંતા છે કે મતભેદ સપાટી પર આવતા તેની અસર ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ખેલાડીઓના પ્રદર્શન પર ન પડે.

બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમના કેટલાય ખેલાડીઓ કેપ્ટન વિરાટ કોહલીને લઈ બોર્ડને ફરિયાદ કરી રહ્યા હતા. બીસીસીઆઈના સિનીયર અધિકારીઓને લાગ્યું કે, ધોની જેવો વ્યક્તિ જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. કારણ કે ટીમના તમામ ખેલાડીઓમાં તેના પ્રત્યે સન્માનની નજરથી જોવામાં આવે છે.

આ સમગ્ર વિવાદ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ સપાટી પર આવવાનો શરૂ થયો હતો. કોહલીને એ મેચ બાદ કેટલાય સિનીયર ખેલાડીઓની ફરિયાદ બોર્ડને કરી હતી. જેમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને રવિચન્દ્ર અશ્વિનનો સમાવેશ થાય છે. એ પછી વાઈસ કેપ્ટન રહાણેએ બીસીસીઆઈ સચિવ જય શાહને કહ્યું હતું કે, ટીમના કેટલાક ખેલાડીઓ ખુશ નથી.

કોહલીના ખરાબ ફોર્મે આ કોયડાને વધારે ગુંચવી નાખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કોહલીના ચાલી રહેલા ખરાબ પ્રદર્શનના કારણે અન્ય ખેલાડીઓ અંગે ફરિયાદ કરવી એ બાકીના સિનીયર ખેલાડીઓને પસંદ નથી આવ્યું. તેમનું માનવું હતું કે કોહલીનું ખરાબ ફોર્મ જ તેના ખરાબ નિર્ણયો માટે જવાબદાર છે.

બોર્ડે ખેલાડીઓ સાથે સંવાદ સાધી આ કોયડો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેઓ સફળ નહોતા થયા. ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ કોહલીએ અશ્વિનને ઈંગ્લેન્ડની વિરૂદ્ધની ટેસ્ટ સિરીઝમાં પણ એક તક નહોતી આપી. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે હેડ કોચ રવિ શાસ્ત્રી પણ ટીમમાં અશ્વિનને લેવાના પક્ષમાં હતા. જોકે કોહલી રવીન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતારવા માગતો હતો. પાંચમાંથી રમાયેલી ચાર ટેસ્ટ મેચમાં અશ્વિન હાથ પર હાથ રાખીને ડ્રેસિંગ રૂમમાં બેઠો રહ્યો હતો.

ટેસ્ટ સિરીઝ બાદ ટી ટ્વેન્ટી વિશ્વકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં કોહલી યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવા માગતો હતો. બીજી બાજુ રોહિત શર્માએ અશ્વિનને સામેલ કરવાનું સમર્થન કર્યું હતું. આ નિર્ણયથી કોહલી નિરાશ હતો. ટી ટ્વેન્ટી વિશ્વકપ પહેલા રિપોર્ટ હતી કે કોહલી કેપ્ટનનું પદ છોડી દેશે. આ અહેવાલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બોર્ડે આ રિપોર્ટનું ખંડન કર્યું હતું. જોકે કોહલીએ ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના એ વાતની ચાડી ખાય છે કે ટીમના મતભેદો હવે બીસીસીઆઈના હાથમાંથી પણ સરકી ગયા છે.

આ જ કારણ છે કે ધોની આ કામ માટે શ્રેષ્ઠ ઉપાય છે. બોર્ડ ઈચ્છે છે કે ખેલાડીઓ અને કેપ્ટનની વચ્ચેના મતભેદો શાંત થઈ જાય. બોર્ડને આશા છે કે ડ્રેસિંગ રૂમમાં કોઈ સન્માનિત વ્યક્તિના હોવાથી વિવાદ આપમેળે ઓછો થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત