Homeગામનાં ચોરે25 વર્ષથી વધુની ઉંમરનાને વેક્સિનની મંજૂરી આપવા વડાપ્રધાનને આ રાજ્યના મુખ્યમંત્રીએ લખ્યો...

25 વર્ષથી વધુની ઉંમરનાને વેક્સિનની મંજૂરી આપવા વડાપ્રધાનને આ રાજ્યના મુખ્યમંત્રીએ લખ્યો પત્ર

Team Chabuk-Gujarat Desk: મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો કોરોનાના વમળમાં ફસાઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિન આપવાની પરવાનગી આપવા માટે વિનંતી કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની માગણીનો સ્વીકાર કરી મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં લખ્યું છે કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી છે. રવિવાર સુધીમાં 76.86 લાખ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી વધુ વેક્સિન આપવામાં આવે તેવી માગણી પણ વડાપ્રધાન સમક્ષ કરી છે. ઉદ્વવ ઠાકરેએ પત્રમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રના છ જિલ્લા મુંબઈ, પુણે, થાણે, નાશિક, નાગપુર અને ઔરંગાબાદમાં સ્થિતિ વધુ ગંભીર હોવાથી વધારાના વેક્સિનના ડોઝ આપવામાં આવે.

ઉદ્ધવ ઠાકરેએ પત્ર લખીને વડાપ્રધાનને 25 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવા અંગે માગણી કરી છે. મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યો હોવાથી ઉદ્ધવ ઠાકરેએ હવેથી 25 વર્ષથી વધુની ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવે તે માટે માગણી કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી હંમેશા સાથ સહકાર મળતો રહ્યો છે. દેશ ઝડપથી આ બીજી લહેરમાંથી બહાર આવશે અને ફરીથી દેશમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ થશે.

ઉદ્ધવ ઠાકરે પહેલા આ પ્રકારની માગણી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કરી ચૂક્યા છે.

હાલ દેશભરમાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને સરકાર દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કૂલ 8 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ખરાબ

દેશભરમાં હાલ કોરોનાના કારણે સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં દૈનિક કેસ 50 હજારને પાર પહોંચી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 57,074 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જે કોઈપણ રાજ્યની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 222 લોકોના કોરોનાથી મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કૂલ 30,10,597 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કૂલ મૃતકોની સંખ્યા વધીને 55,878 સુધી પહોંચી ગઈ છે.

30 સપ્ટેમ્બર સુધી વિકેન્ડ લોકડાઉન

મહારાષ્ટ્રમાં બેકાબૂ બની રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકારે કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેથી હવે મહારાષ્ટ્રમાં દર અઠવાડિયે શુક્રવારે રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી લોકડાઉનનો અમલ કરવો પડશે. બાકીના દિવસોમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવો પડશે.

મહારાષ્ટ્ર સરકારના લોકડાઉનના આ નિર્ણયને ભાજપે પણ વધાવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકડાઉનના નિર્ણયને અમારું સમર્થન છે. લોકોએ નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments