Team Chabuk-National Desk : હરિયાણાના હિસારના પૂર્વ ધારાસભ્ય સહીત પરિવારના આઠ સભ્યોની હત્યાનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે. આ ઘટનાના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર સંજીવ ઉર્ફે ઓમાનંદગિરી અમરેલીનિ છતડિયામાં આજ ગામના આશ્રમમાં મહંત બની ગયો હતો. જો કે, હાલમાં તે પંજાબ ગયો જ્યાં બાતમીના આધારે અંબાલા ATSએ તેને ઝડપી લીધો છે અને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
કેવી રીતે આપ્યો હતો હત્યાને અંજામ ?
23 ઓગસ્ટ 2001માં સંજીવએ તેની પત્ની સાથે જ મળીને સાસુ સસરા સહિત પરિવારના કુલ 8 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. બંનેને હત્યાને દુર્ઘટનામાં ખપાવવા અનેક પ્રયાસ કર્યા પરંતુ લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં સંજીવે પોતાનું મોઢું ખોલ્યું જે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં સંજીવે કહ્યું હતું કે, 23 ઓગસ્ટ 2001ની રાતે તેણે અને તેની પત્નીએ મળીને રાત્રીના 11થી સવારના 4 વાગ્યા સુધીમાં આઠ લોકોને મારી નાખ્યા હતા. સૌથી પહેલાં તેણે સોનિયા એટલે કે તેની પત્નીના જન્મદિવસે ફટાકડાના શોરબકોર વચ્ચે ફાયરિંગ કરીને હત્યાકાંડને અંજામ આપવાનું વિચાર્યું હતું જોકે, તેમનો એ પ્લાન સફળ થયો ન હતો. ત્યારબાદ તમામ લોકોની એક-એક કરી અલગ-અલગ રૂમમાં લોખંડના પાઈપથી ફટકારીને હત્યા કરી હતી.હિસાર કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી બાદમાં આ સજા આજીવન કેદમાં બદલાઈ હતી. જે લોકોની હત્યા થઈ તેમાં પૂર્વ ધારાસભ્ય રેલુરામ પૂનિયા તેની પત્ની, રેલુરામનો પુત્ર, ચાર વર્ષનો પૌત્ર અને દોઢ મહિનાની પૌત્રીનું નામ પણ સામેલ છે.
સંજીવની પત્નીને ક્રાઈમની સિરિયલો જોવાનો બહુ શોખ હતો. ક્રાઈમ આધારિત સિરિયલો જોઈને જ તેણે પતિ સાથે મળીને હત્યાકાંડનો પ્લાન ઘડ્યો હતો. હત્યારો સંજીવ અને તેની પત્ની સોનિયા તાઈક્વાંડોના ખેલાડી હતા. સંજીવની પત્ની ત્વાઈક્વાંડોમાં બ્લેકબેલ્ટ હતી.
કેવી રીતે પકડાયો 8 લોકોનો હત્યારો ?
હત્યા કાંડમાં સજા ભોગવનારો આરોપી સંજીવ પેરોલ પરથી છૂટીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ યૂપી, પંજાબ અને ગુજરાતમાં સાધુ બનીને રહેતો હતો. અમરેલીના રાજુલામાં તે ખડેશ્વર આશ્રમમાં રહેતો હતો. લાંબા સમયથી અંબાલા ATS તેની પાછળ પડી હતી જોકે, તેનું કોઈ લોકેશન મળી રહ્યું ન હતું. છેલ્લા 20 દિવસથી સંજીવ ગુજરાતથી પંજાબ ગયો હતો જેની માહિતી મળતાં અંબાલા ATSએ ખરાઈ કરી હતી ત્યારબાદ તેને મેરઠ હાઈવે પરથી ઝડપી લીધો હતો. ઢોંગી બાબાની પોલ ખુલતા સમગ્ર અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. હવે બીજી તરફ યુપી મેરઠ પોલીસ અમરેલી જિલ્લામાં તપાસ માટે આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં ક્યારથી આવ્યો અને ક્યાં ક્યાં રહ્યો તેની પોલીસ તપાસ કરી શકે છે.
ગુજરાતમાં કેવી રીતે બન્યો ઢોંગી બાબા ?
હત્યારો સંજીવ રાજુલાના છતડિયામાં ખડેશ્વરી બાપુના આશ્રમમાં ત્રણ વર્ષથી રહેતો હતો. આ આશ્રમ સમગ્ર રાજુલા પંથકનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં તેણે લોકોને આનંદગિરી બાપુ તરીકેની ઓળખ આપી હતી. ત્રણ વર્ષ પહેલાં આ ઢોંગી અહીં આવીને વસી ગયો. લોકોને થયું કોઈ સાધુ દિક્ષા લઈને આવ્યા છે એટલે આશ્રમમાં લોકોની અવરજવર પણ વધી ગઈ એટલું જ નહીં આ ઢોંગીએ મીઠી મીઠી વાતોમાં લોકોને ફસાવ્યા જેના કારણે કેટલાક લોકો તેના સેવક બની ગયા અને તેની સેવા કરવા લાગ્યા.
રાજુલામાં રાજકીય લોકો પણ વાતોમાં ભોળવાયા
ઢોંગીનું કદ વધ્યું તો રાજકીય લોકો પણ તેના તરફ આકર્ષાયા. ધારાસભ્ય અમરીશ ડેર પણ આ ઢોંગીની વાતોમાં આવી ગયા. જોકે, તમામ લોકોની જેમ અમરીશ ડેર આ ઢોંગીના ઈતિહાસથી અજાણ હતા. હાલમાં જ 21 ફેબ્રુઆરી 2020માં રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં ગૌ આધારિત ભવ્ય કૃષિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. આ કાર્યક્રમમાં અમરિશ ડેર અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રરમમાં આ ઢોંગી બાબાની પણ હાજરી હતી.
લોકોની આસ્થાને ઠેસ પહોંચી
જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. ખડેશ્વરી બાપુના આશ્રમ સાથે હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એટલે જ તેમણે આ બાપુને સ્વીકાર્યા હતા. ગામમાં આ ઢોંગી બાવો આવીને વસી ગયો છતાં કોઈએ તેની ઉલટતપાસ કવાનું પણ વિચાર્યું નહીં. જ્યારે જ્યારે તેને આગેવાનોએ પૂછ્યું ત્યારે તેણે લોકોને બનાવટી વાતો જ કહીં. હવે જ્યારે આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે આશ્રમ સાથે જોડાયેલા સેવકો અને ભાવિકોને લાગણીને ઠેસ પહોંચી છે. ગામના સરપંચે આ અગે કહ્યું કે, આ ખુબ ખોટું થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત