શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વ્યાજંકવાદનો કિસ્સો સામે આવ્યો છે. સાડા પાંચ લાખનું તગડું વ્યાજ સાથે 12 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં યુવકને ધમકીઓ મળતી હોવાનો મામલો સામે આવ્યો છે. પઠાણી ઉઘરાણીથી પરેશાન પીડિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે વ્યાજખોર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકની ફરિયાદ છે કે વ્યાજખોરે સિક્યુરિટી માટે આપેલી મકાનની ફાઈલ અને ચેક પણ પરત નથી આપ્યા. પીડિત યુવકને દરિયામાં નાંખી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે.
વેરાવળ પંથકમાં વ્યાજખોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે એવા સમયે એક સામાન્ય પરિવારનો યુવાન વ્યાજખોરના ત્રાસથી વ્યથિત બની પોલીસના શરણે જતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતો અને બેટરી રીપેરીંગનું કામ કરતો કમલેશ ગોવિંદભાઇ ચૌહાણે વર્ષ 2018માં આર્થિક નાણા ભીડના લીધે ભીડીયામાં રામ મંદિરની પાછળ રહેતા અને વ્યાજે નાણા આપતા રોહિત પ્રભુદાસ ગોહેલ પાસેથી પ્રથમ તા.16/11/2018 ના રોજ રૂ.2 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા અને તેનું દર મહિને રૂ.10 હજાર વ્યાજ ચુકવી આપતો હતો. ત્યારબાદ તા.13/03/2019ના રોજ વઘુ રૂ.2 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેમાં સિકયુરિટી પેટે તેના મકાનની ફાઇલ આપી હતી. ત્યારપછી ત્રીજી વખત તા.26/03/2019 ના વઘુ રૂ.1.50 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ અને ત્યારે સિકયુરિટી પટે ચાર ચેક આપ્યા હતા.

આમ કુલ રૂ.5.50 લાખની રકમનું દર મહિને રૂ.27,500 વ્યાજ નિયમિત ચુકવતો હતો. જેથી મોટી રકમનું અઢી વર્ષ સુઘી વ્યાજ ચુકવતો હોવાથી કમલેશ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો. એવા સમયે નાણા આપનાર રોહિત ગોહેલ તેની દુકાને આવી વ્યાજના પૈસા આપવા પઠાણી ઉઘરાણી કરી ઘાકઘમકી આપી સિકયુરિટીમાં આપેલા મકાનની ફાઇલનો દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. દરમિયાન ગત તા.28/4/2022ના રોજ રોહિતે રસ્તામાં કમલેશને રોકીને વ્યાજના પૈસાની ઉઘરાણી કરી હતી ત્યારે 5.50 લાખની સામે રૂ.12 લાખ ચુકવી આપેલ હોય હવે મારે કંઇ પૈસા દેવાના થતા નથી જેથી મારા મકાનની ફાઇલ તથા ચેકો પરત માગ્યા હતા. જેથી ઉશ્કેરાઇ ગયેલા રોહિતે આઠ મહિનાનું વ્યાજ તથા મુદલની રકમ આપી જજે નહીંતર તને દરીયામાં નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
પીડિત યુવાન પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ એએસપી ઓમપ્રકાશ જાટ સમક્ષ સમગ્ર હકકીત વર્ણવી મદદ માંગી હતી. જેથી એએસપીએ ત્વરીત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને લઈ કમલેશ ચૌહાણની ફરિયાદના આઘારે પોલીસે રોહિત પ્રભુદાસ ગોહેલ સામે આઇપીસી કલમ 504, 506(2) તથા ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ 2011ની કલમ 5, 40, 42 હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મુસારે હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
