Team Chabuk-Gujarat Desk: ચાર સંતાનોના પિતાને બીજા લગ્ન કરવાના અધમણ અભરખા ભારે પડી ગયા છે. જો આ આધેડે સમયસૂચકતા ન વાપરી હોત તો નહીં નહીંને પચાસ હજારથી વધારે રૂપિયામાં ઉતરી જાત. વેરાવળમાં રહેતા આ આધેડની પાસેથી દસ હજાર રૂપિયાની મતા લઈ લગ્ન કરાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે નિકાહ કર્યાના બીજા જ દિવસે નવી દુલ્હને ઘર ચલાવવાની ના પાડી દીધી હતી. મામલો બિચકતા આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં પોલીસની સતર્કતાના કારણે ફરિયાદ નોંધવવા આવનાર જ આરોપી નીકળી હતી.
59 વર્ષીય ઈબ્રાહીમ મુસાભાઈ મુકાદમને ચાર સંતાનો છે. પત્નીનું દોઢેક વર્ષ પહેલા હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયું હતું. સંતાનોમાં ત્રણ પરિણીત છે જ્યારે અન્ય એકના વેવિશાળ થયા નથી.
બીજા લગ્ન કરવા માટે ઈબ્રાહીમભાઈને અંકલેશ્વરના રહેવાસી ઈરફાન યુસુફભાઈ શેખનો સંપર્ક થયેલ હતો. ઈરફાનભાઈએ 40 હજારમાં બીજા લગ્ન કરાવી આપાવનું વચન આપ્યું હતું. ઝાડ ઉપર જ છોકરી ટીંગાયેલી હોય એમ ઈરફાનભાઈએ તાત્કાલિક કન્યાનો બંદોબસ્ત પણ કરી દીધો હતો. આ છોકરીની સુરતની હતી. જેથી ઈબ્રાહીમભાઈને અંકલેશ્વર બોલાવી બંને સુરત ગયા હતા. સુરતમાં તેઓએ શાઈમાબહેન સાથે ભેટ કરી હતી અને બંને એકબીજાને પસંદ આવતા વેરાવળમાં નિકાહ ગોઠવી નાખ્યાં હતાં.
નિકાહ કરવા માટે થઈને ઇબ્રાહીમભાઇએ રૂપિયા પાંત્રીસ હજારની સોનાની વીંટી તથા રૂપિયા પંદર હજારના કપડા અને કટલેરીનો સામન લઇ આપેલ હતો. જે પછી બે દિવસ પહેલા વેરાવળમાં નિકાહ કરવામાં આવ્યા હતા. નિકાહ થયા બાદ લુંટેરી દુલ્હનનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો.
નિકાહના બીજા જ દિવસે શાઈમાબહેનનાં મોટાબાપુ ગુજરી ગયા હોય પીયર જવાનું શોહરને કહ્યું હતું. શાઈમાબહેન આ કહેતાની સાથે જ સોના ચાંદીના દાગીના પેક કરવા લાગ્યા હતા જ્યારે ઈરફાનભાઈ યુસુફભાઈ શેખ, જેમણે નિકાહની ગોઠવણ કરી આપી હતી તેમણે પણ બાકી રહેલા ત્રીસ હજાર રૂપિયા માગ્યા હતા. એક સાથે આ બંને વસ્તુ સામે આવતા ઈબ્રાહીમભાઈને શંકા ગઈ હતી.
ઈબ્રાહીમભાઈએ પોતાની શંકાનું સમાધાન કરવા માટે આપણે કાલે જઈશું તેવું બીજી પત્નીને કહ્યું હતું. આ વાત પર શાઈમાબહેન ગુસ્સે ભરાયા હતા અને તારું ઘર ચલાવવું નથી એવી વાત કરવા લાગ્યા હતા. જે પછી તેઓ પોલીસ સ્ટેશને દોડી ગયા અને ત્યાં પોલીસે ઈબ્રાહીમભાઈને બોલાવતા આખેઆખી ઘટનાનો ચિતાર સામે આવી ગયો હતો. પોલીસ હાલ આ બેઉં ગેંગે કેટલાને બાટલીમાં ઉતારી નાખ્યાં છે તેની પણ પૂછપરછ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત