Homeગામનાં ચોરેખેડૂતોની ગૃહમંત્રી સાથેની મુલાકાતનું શું પરિણામ આવ્યું ?

ખેડૂતોની ગૃહમંત્રી સાથેની મુલાકાતનું શું પરિણામ આવ્યું ?

ગઈકાલ ભારત બંધ એલાન અને સ્થિતિને દિવસે ને દિવસે હાથમાંથી સરકતી જોતા મંગળવારે રાતે ગૃહમંત્રી અમિત શાહે 13 ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આજે ખેડૂત અને સરકાર વચ્ચે વધુ એક વાર્તાલાપ થવાનો છે. તે પહેલા અમિત શાહ સાથેની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી હતી, પણ આ મુલાકાત પણ ડેલીએ હાથ અડીને પાછા ફરવા જેવી રહી હતી અને કોઈ નિરાકરણ આવ્યું ન હતું.

આજે શું થશે ?

એક બાજુ ખેડૂતો કૃષિ કાયદો પરત લેવાની વાત પર અડીંગો જમાવીને બેઠા છે બીજી તરફ સરકાર કૃષિ કાયદાને કોઈ પણ કારણોસર પરત લેવા માગતી નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ ત્રણે કાયદાઓને પરત લેવાની માગને ફગાવી દીધી છે. જેથી આજે સરકાર સાથેની વાતચીતમાં ગુંચવાયેલું કોકડું ઉકેલાય છે કે નહીં તેના તરફ દેશવાસીઓની નજર રહેલી છે.

લેખિતમાં પ્રસ્તાવ આપશે

ગત્ત રાતના અમિત શાહ અને 13 ખેડૂતો વચ્ચેની મુલાકાત બે કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ ખેડૂત નેતા હનન મુલ્લાએ કહ્યું કે, સરકાર બુધવારે લેખિતમાં પ્રસ્તાવ આપશે. ખેડૂતો પણ સરકારના પ્રસ્તાવ પર બપોરના બાર વાગ્યે સિંધુ બોર્ડર પર બેઠક કરશે. હનન મુલ્લાએ આ વાતચીત પરથી એમ પણ કહ્યું કે સરકાર આ કાયદાને પરત નહીં લે.

બે કલાકની બેઠક

દિલ્હી સ્થિતિ ગેસ્ટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની વચ્ચે બે કલાક વાતચીત ચાલી હતી. બેઠક પહેલા ખેડૂત નેતા રૂદરુ સિંહ માનસાએ કહ્યું કે, વચ્ચેનું સમાધાન નથી કરવાના. અમે ગૃહમંત્રી સાથે માત્ર હા અને ના આ બે શબ્દોમાં જ વાત કરીશું. બાદમાં તેર ખેડૂત નેતાઓની સાથે રૂદરૂ સિંહ માનસાએ પણ અમિત શાહની સાથે મુલાકાત કરી હતી.

બેઠકમાં કોણ કોણ ખેડૂત અગ્રણી હતા ?

ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકેત, ગુરુનામ સિંહ ચઢૂની, હનન મૂલા, શિવ કુમાર કક્કા જી, બલવીર સિંહ રાજેવાલ, રૂદરૂ સિંહ માનસા, મંજીત સિંહ, રાય બૂટા સિંહ, હરિંદર સિંહ લાખોવાલા, દર્શન પાલ, કુલવંત સિંહ સંધૂ, બોધ સિંહ માનસા અને જગજીત સિંહ ઢલેવાલાનો સમાવેશ થાય છે.

અગાઉ પાંચ વખત થઈ છે મુલાકાત

ગૃહમંત્રી સાથે કરેલી મુલાકાત પહેલા ખેડૂત અગ્રણીઓની સરકાર સાથે કુલ પાંચ રાઉન્ડમાં મુલાકાત થઈ ચૂકી છે. પાંચે વાર્તાલાપમાં કોકડું ઉકેલાયું નથી અને સરકારે પણ કાયદાને પરત લેવાની ના કહી દીધી છે. તમામ વાતચીતમાં સરકાર અને ખેડૂત ટસ ના મસ થવા તૈયાર નથી.

સંશોધન પણ સ્વીકાર નહીં

આ સિવાય સરકારે ખેડૂતોની સામે સંશોધનનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. જોકે ખેડૂતોએ આ પ્રસ્તાવને પણ સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પાંચમી બેઠક મળી ત્યારે જ ખેડૂત નેતાઓએ વાત કરી હતી કે અમને આ સમસ્યાનું નિરાકરણ જોઈએ છે. અમે માત્ર હા અને નામાં જ જવાબ ઈચ્છીએ છીએ. હવે આગળ બીજી કોઈ વાત નહીં.

ગઈકાલે ભારત બંધ

ગઈકાલે ખેડૂતો સહિત વીસ જેટલી દેશની મોટી રાજકીય પાર્ટીઓ ભારત બંધમાં જોડાય હતી. જ્યાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક બંધના દૃશ્યો જોવા મળ્યા હતા. તો કેટલીક જગ્યાએ તીખારા જર્યા હતા. ઠેર ઠેર રોડ બ્લોક કરાયા હતા. ટાયર સળગાવવામાં આવ્યા હતા. છતાં પણ ભારત બંધને જોઈએ તેટલો પ્રતિસાદ ગુજરાતમાં મળ્યો નહોતો. કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા હતા જેમાંથી મોટાભાગના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments