Team Chabuk-Gujarat Desk: કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની ફરી એક વખત વિવાદમાં આવી છે. કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ અંબુજા સિમેન્ટ કંપનીના કારણે થતાં પ્રદૂષણ મુદ્દે વિધાનસભામાં સવાલ કર્યા બાદ GPCB દોડતું થયું છે.
GPCBએ કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની નજીકના કૂવાના પાણીના નમૂના લીધા છે. એટલું જ નહીં અધિકારીઓએ સ્વીકાર્યું પણ છે કે, કૂવાના પાણીનો રંગ બદલ્યો છે. હાલ 11 જેટલા કૂવામાંથી GPCBએ નમૂના લીધા છે અને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. પાણીના નમૂનાના પૃથ્થકરણ બાદ સાચી વિગતો સામે આવશે.
ધારાસભ્ય મોહન વાળાએ ગૃહમાં રજૂઆત કરી હતી કે, કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીના કારણે કૂવાનું પાણી પ્રદૂષિત થયું છે. પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. મોહન વાળાએ આરોપ લગાવ્યો છે કે, આ અંગે અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે. જોકે, યોગ્ય કાર્યવાહી નથી થતી. વિધાનસભા ગૃહમાં મુદ્દો ગૂંજ્યા બાદ હવે કુંભકર્ણ નિદ્રામાંથી GPCB સફાળુ જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે.
ખેડૂતોનો આરોપ છે કે, કંપનીને અગાઉ પણ અનેકવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ GPCB અંબુજા કંપની વિરૂદ્ધ કાર્યવાહી નથી કરતુ અને કરે છે તો પણ માત્ર તપાસના નામે ઢોંગ જ કરે છે. ખેડૂતોનું આટલું મોટું નુકસાન GPCBને દેખાતું નથી. ખેડૂતોને આશા છે કે, આ વખતે કંપની વિરૂદ્ધ કાર્યવાહી થશે અને કંપનીની શાન ઠેકાણે લાવશે.
ખેડૂતોએ કહ્યું કે, GPCBના જે અધિકારીઓ તપાસ માટે આવ્યાં હતાં તે કંપનીના ગેસ્ટહાઉસમાં જ રોકાયા હતા. સવારથી અધિકારીઓ કામ માટે આવ્યા હતાં પરંતુ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતાં અનેક સવાલો ઉઠ્યા છે.
GPCBના અધિકારીઓ અંબુજા સિમેન્ટ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતાં સવાલો ઉઠ્યા છે કે, જે કંપની વિરૂદ્ધ તમે કાર્યવાહી કરવા જાઓ છો તે કંપનીના ગેસ્ટહાઉસમાં શા માટે રહ્યા? શું ગેસ્ટહાઉસમાં રહીને કંપની સાથે સેટિંગ કરવાનું હતું ? પાણીના નમૂના જે કૂવામાંથી લીધા તે જ પૃથ્થકરણ માટે મોકલ્યા કે પછી પાણી પણ બદલાવી નાખવામાં આવ્યું ? તમે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવા ગયા હતા કે કંપનીના ભોજનનો સ્વાદ માણવા માટે ?
કંપની નજીકના ખેતરના કૂવાનું પાણી જોતા જ એવું લાગે છે કે, પાણી પ્રદૂષિત છે. જો કે, હવે નરી આંખે દેખાતા પ્રદૂષણનો રિપોર્ટ શું કહે છે તે આગામી સમયમાં ખબર પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત