Team Chabuk-Entertainment Desk: છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચુકેલા ગુરુચરણસિંહ અંતે ઘરે પરત ફર્યા છે. છેલ્લા 25 દિવસથી તેઓ ઘરેથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જો કે આખરે 25 દિવસ બાદ ગુરુચરણસિંહ પોતાની જાતે જ ઘરે આવી ગયા છે. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ પરત ફર્યા બાદ ગુરુચરણસિંહે જે વાત કહી તે સાંભળીને બધા હકકાબક્કા થઈ ગયા છે.
પરત ફરેલા ગુરુચરણસિંહની દિલ્હી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેમણે આટલા દિવસો સુધી ક્યાં હતા તે અંગે ખુલાસો કર્યો હતો. ગુરુચરણસિંહે જણાવ્યું હતું કે, તેઓ દુનિયાદારી છોડીને ધાર્મિક પ્રવાસે નીકળી ગયા હતા. આટલા દિવસોમાં તેમણે અમૃતસર, લુધિયાણા અને અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા હતા. ત્યારબાદ તેમને અહેસાસ થયો કે હવે મારે ઘરે પરત ફરવું જોઈએ, તેથી તેઓ ઘરે આવ્યા હતા.

મહત્વનું છે કે, 22 એપ્રિલના રોજ ગુરુચરણ સિંહ પોતાના દિલ્હી સ્થિત ઘરેથી મુંબઈ જવા રવાના થયા હતા. તેઓ ફ્લાઈટ પકડવા માટે નીકળ્યા હતાં પરંતુ ફ્લાઈટ પકડી ન હતી. ત્યારબાદ તેમના ગુમ થવાના સમાચાર 26 તારીખે સામે આવ્યા હતા. તેથી તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિડનેપિંગનો કેસ સમજીને એ રીતે ફરિયાદ લીધી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ ગુરુચરણસિંહ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં જ હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થયો હતો. એ પણ માલૂમ પડ્યું હતું કે જલદી તેમના લગ્ન થવાના હતા. આ બધા વચ્ચે તેઓ આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહ્યા હતા. 22 એપ્રિલના રોજ જ્યારે તેઓ ઘરેથી મુંબઈ જવા માટે રવાના થયા તો તેઓ મુંબઈ પહોંચ્યા નહીં. જે વ્યક્તિ તેમને મુંબઈ રિસિવ કરવા આવ્યા હતા તેને પણ તેમણે મિસલીડ કર્યા હતા. ત્યારબાદ ગુરુચરણે 14 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢ્યા એવા પણ સમાચાર આવ્યા હતા.
દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ 10 જેટલા બેંક ખાતા વાપરતા હતા. તથા બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ ગુરુચરણસિંહને પોતાની ‘નિગરાણી’ થઈ રહી હોવાની શંકા હતી. જેના કારણે તેઓ વારંવાર પોતાના ઈમેઈલ એકાઉન્ટ બદલતા હતા. એવું પણ સામે આવ્યું હતું કે અભિનેતા બે મોબાઈલ ફોન રાખતા હતા પરંતુ તેમાંથી એક ફોન તેમણે દિલ્હી સ્થિત પોતાના ઘરે જ છોડી દીધો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત